વિજાપુર મકરાણી દરવાજા વિસ્તારમાં ધુળેટીની સાંજે ક્ષત્રીય ઠાકોર રાજપૂત સમાજના ઠાગા આકર્ષણનું કેન્દ્ર બન્યા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર :શહેર ના મકરાણી દરવાજા ખાતે ધુળેટીના પાવન તહેવાર નિમિત્તે ક્ષત્રીય ઠાકોર રાજપુત સમાજ દ્વારા વર્ષો જૂની પરંપરા અનુસાર ધારૈયા (ઠાગા), તલવારબાજી અને લાકડીના કરતબોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના મકરાણી દરવાજા નજીક રહેતા રાજપુત ઠાકોર સમાજના યુવાનો દ્વારા આ પરંપરાગત મુજબ કાર્યક્રમ યોજાયો હતો, જે જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.ધુળેટીના દિવસે સવારથી જ શહેરમાં રંગોત્સવનો માહોલ જોવા મળ્યો હતો. લોકો એકબીજાને ગુલાલ અર્પી તહેવારની શુભેચ્છાઓ પાઠવી આનંદ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ સાંજના સમયે ક્ષત્રીય ઠાકોર રાજપુત સમાજના યુવાનો પરંપરાગત વેશભૂષામાં એકત્રિત થઈ ધારૈયા (ઠાગા) ફેરવવાની કળા, તલવારબાજી અને લાકડીના વિવિધ દાવ-પેચ રજૂ કર્યા હતા. યુવાનોની ચપળતા અને શૌર્ય દર્શાવતા કરતબોએ ઉપસ્થિતોમાં ઉત્સાહ જગાવ્યો હતો. ક્ષત્રિય ઠાકોર રાજપૂત સમાજના અગ્રણી વિજય સિંહ સોલંકી અને ભાવેશ સિંહ પરમારે જણાવ્યું હતુ કે ધુળેટી પર્વ નિમિત્તે ક્ષત્રિય ઠાકોર રાજપૂત સમાજના પૂવજો એ આ પ્રથા શરૂ કરી હતી જે હાલ માં પેઢી દર પેઢી આ ઠાગા ખેલ નો પ્રસંગ ઉજવી રહ્યા છીએ આ પ્રસંગે સમાજના વડીલો તેમજ આસપાસના વિસ્તારોના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ ઐતિહાસિક પરંપરાનો આનંદ માણ્યો હતો. વર્ષોથી ચાલતી આવી રહેલી આ પરંપરા દ્વારા યુવાનોમાં શૌર્ય, એકતા અને સંસ્કૃતિ પ્રત્યે ગૌરવની ભાવના જળવાઈ રહે છે.





