વિજાપુર પોલીસ દ્વારા ગુમ થયેલા ૧૦ મોબાઇલ ફોન માલિકોને પરત
“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત રૂ. ૧.૭૨ લાખથી વધુ કિંમતના મોબાઇલ મળ્યા
વિજાપુર પોલીસ સ્ટેશન દ્વારા “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત નાગરિકોના ગુમ થયેલા મોબાઇલ ફોન શોધી તેમને પરત આપવાની પ્રશંસનીય કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી હેઠળ કુલ ૧૦ મોબાઇલ ફોન, જેની અંદાજિત કિંમત રૂપિયા ૧,૭૨,૯૮૧/- થાય છે, તેઓના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા.પોલીસ સૂત્રો ની માહીતી પ્રમાણે નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (ગાંધીનગર વિભાગ), પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી (મહેસાણા) તથા નાયબ પોલીસ અધિક્ષક દિનેશસિંહ ચૌહાણ (વિસનગર વિભાગ) ના માર્ગદર્શન હેઠળ સ્થાનીક પોલીસ ઇન્સ્પેક્ટર જી.આર. રબારીના સુચનાથી ટેકનિકલ ટીમ દ્વારા ગુમ થયેલા મોબાઇલ ફોન શોધવા માટે CEIR પોર્ટલ મારફતે ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યું હતું.જેમાં પોલીસ સ્ટેશન ખાતે ટેકનિકલ કામ કરતા આઈ.ટી. એક્સપર્ટ ઓમ દિપકભાઈ ઠક્કર, પો. સબ. ઇન્સ્પેક્ટર એ.આર. બારિયા, એ.એસ.આઈ. ઇન્દ્રવદનસિંહ વિક્રમસિંહ તેમજ પોલીસ સ્ટાફના અન્ય કર્મચારીઓએ મહેનતપૂર્વક કામગીરી કરી મોબાઇલ ફોન શોધી કાઢ્યા હતા. ત્યારબાદ તમામ મોબાઇલ ફોન તેમના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા.






