કાંકણપુરની જે.એલ.કે. કોટેચા કોલેજના વિદ્યાર્થીઓનો અમદાવાદ-ગાંધીનગરનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો

પ્રતિનિધિ ગોધરા તા.15
નિલેશભાઈ દરજી શહેરા
સર્વોદય ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત કાકણપુર સ્થિત શ્રી જે.એલ.કે. કોટેચા આર્ટસ એન્ડ શ્રીમતી એસ.એસ. ગાર્ડી કોમર્સ કોલેજ દ્વારા ઉચ્ચ શિક્ષણ વિભાગના કે.સી.જી. અંતર્ગત અમદાવાદ-ગાંધીનગરનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો હતો. આચાર્ય ડૉ. જગદીશભાઈ પટેલના માર્ગદર્શન અને ડૉ. નીતિનભાઈ ધમસાણીયાના નેતૃત્વ હેઠળ યોજાયેલી આ સ્ટડી કમ એક્સપ્લોરર ટૂરમાં 110 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પ્રવાસની શરૂઆતમાં વિદ્યાર્થીઓએ અમદાવાદના નરોડા ખાતે આવેલ ઉદ્યોગસાહસિકતા વિકાસ સંસ્થાની મુલાકાત લીધી હતી. જ્યાં નિષ્ણાતો દ્વારા ઉદ્યોગ, માર્કેટિંગ અને સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન અપાયું હતું. ત્યારબાદ એન.સી.એમ. કંપનીમાં બેરિંગ ઉત્પાદનની ઔદ્યોગિક પ્રક્રિયાનું પ્રત્યક્ષ અવલોકન કર્યું હતું. ઔદ્યોગિક મુલાકાત બાદ વિદ્યાર્થીઓ ગાંધીનગરના ઐતિહાસિક મહાત્મા મંદિર પહોંચ્યા હતા, જ્યાં ગાંધીજીના જીવન-કવન વિશે માહિતી મેળવી હતી. દિવસના અંતે અક્ષરધામ મંદિરમાં દર્શન કરી ભારતીય સ્થાપત્ય અને સંસ્કૃતિનો પરિચય મેળવ્યો હતો. આ પ્રવાસમાં ડૉ. ઉષાબેન પટેલ, ડૉ. અનિલભાઈ લકુમ સહિતના અધ્યાપકો જોડાયા હતા. કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી દીપકભાઈ પટેલની સંસ્થા સહજાનંદ ટ્રાવેલ્સ દ્વારા વાહનવ્યવહારની સુવિધા પૂરી પાડવામાં આવી હતી. સંચાલકોએ કે.સી.જી.નો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આવા પ્રવાસોથી વિદ્યાર્થીઓને વ્યવહારુ જ્ઞાન અને ઔદ્યોગિક માર્ગદર્શન મળે છે, જે તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.







