વહેલી સવારે શાળાના વિદ્યાર્થીઓ સાથે રાજ્યપાલશ્રીએ કર્યો યોગાભ્યાસ

17 માર્ચ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનો સાદગીપૂર્ણ બનાસકાંઠા પ્રવાસ રાજ્યપાલશ્રીએ ઉત્તમપુરા (ડાંગીયા) પ્રાથમિક શાળામાં સાદગીપૂર્ણ રાત્રી વિશ્રામ કર્યો.એકાગ્રતા અને સકારાત્મકતાનો માર્ગ એટલે યોગ: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી વહેલી સવારે શાળાના વિદ્યાર્થીઓ સાથે રાજ્યપાલશ્રીએ કર્યો યોગાભ્યાસ.રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ઉત્તમપુરા (ડાંગીયા) પ્રાથમિક શાળાના સામાન્ય ઓરડામાં સંપૂર્ણ સાદગી સાથે રાત્રી નિવાસ કર્યો હતો. આ અવસરે રાજ્યપાલશ્રી ગ્રામ્ય જીવનની સહજતા, ગ્રામીણ સંસ્કૃતિની સમૃદ્ધ પરંપરા તથા સ્થાનિક સમાજની જીવનપદ્ધતિને નજીકથી અનુભવી, શાળાના વાતાવરણને આત્મીયતા અને પ્રેરણાથી પરિપૂર્ણ બનાવ્યું હતું.શાળામાં સાદગી સાથે રાત્રી નિવાસ બાદ વહેલી સવારે રાજ્યપાલશ્રીએ શાળાના વિદ્યાર્થીઓ સાથે યોગાભ્યાસ કર્યો હતો. રાજ્યપાલશ્રીએ વિવિધ યોગાસનો તથા પ્રાણાયામ દ્વારા વિદ્યાર્થીઓને યોગના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું.આ અવસરે રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે,યોગ એ માત્ર કસરત નથી, પરંતુ માનસિક, શારીરિક તથા આધ્યાત્મિક સ્વાસ્થ્ય માટે અત્યંત આવશ્યક ચાવી છે. નિયમિત યોગાભ્યાસ કરવાથી માનસિક એકાગ્રતામાં વધારો થાય છે અને શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. આ સાથે જ યોગ જીવનમાં શિસ્ત અને સકારાત્મકતાનો સંચાર કરે છે. વધુમાં, રાજ્યપાલશ્રીએ ખાસ પ્રેરણા આપતા અનુરોધ કર્યો હતો કે, દરેક વિદ્યાર્થી રોજિંદા જીવનમાં યોગને અપનાવે અને તેને પોતાની જીવનશૈલીનો એક અભિન્ન ભાગ બનાવે કારણ કે યોગ માનસિક, શારીરિક તથા આધ્યાત્મિક સ્વાસ્થ્ય માટે અત્યંત આવશ્યક છે.
કાર્યક્રમ દરમિયાન શાળાના શિક્ષકગણ, અધિકારીઓ તથા અન્ય સંબંધિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલશ્રી સાથે યોગાભ્યાસ કરવાની અનોખી તક મળતાં શાળાના વિદ્યાર્થીઓએ આનંદ અને ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ અને પ્રેરણાદાયી વાતાવરણમાં સંપન્ન થયો હતો.








