MORBI મોરબીમાં ઇસ્કોન દ્વારા શ્રી રામ નવમીની ભવ્ય ઉજવણી: ભક્તોએ જ્યુસ અને પુષ્પોથી કર્યો ભગવાનનો મહાભિષેક

MORBI મોરબીમાં ઇસ્કોન દ્વારા શ્રી રામ નવમીની ભવ્ય ઉજવણી: ભક્તોએ જ્યુસ અને પુષ્પોથી કર્યો ભગવાનનો મહાભિષેક
શહેરના હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર-મોરબી (ઇસ્કોન) દ્વારા તારીખ 25/3/2026 ના રોજ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મોત્સવની અત્યંત ઉત્સાહ અને ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે મોરબીના ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
મહાભિષેક અને આરતી: મોરબીના ભક્તો દ્વારા રામ દરબારનો વિવિધ ફ્રૂટ જ્યુસ અને સુગંધિત પુષ્પો વડે શાસ્ત્રોક્ત વિધિથી મહાભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ભગવાનની મંગલમય મહાઆરતી ઉતારવામાં આવી હતી. આ ઉત્સવમાં વિશેષ આકર્ષણ તરીકે વૃંદાવનથી પરમ પૂજ્ય શ્રીમાન ગુડાકેશ પ્રભુજી પધાર્યા હતા. તેમણે ઉપસ્થિત ભક્ત સમુદાયને શ્રી રામ કથાનું અમૃતપાન કરાવીને આધ્યાત્મિક જ્ઞાન પિરસ્યું હતું. ભગવાનના પવિત્ર હરિનામ સંકીર્તન સાથે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા. કીર્તનની સુરાવલીઓ પર લોકોએ આનંદપૂર્વક નૃત્ય કરી ઉત્સવની રંગત વધારી હતી. નાના બાળકોએ પણ પોતાની કલા દ્વારા ભગવાન પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. બાળકોએ ભગવાનના સુંદર ચિત્રો બનાવીને ઠાકોરજીને અર્પણ કર્યા હતા.
આગામી જગન્નાથ રથયાત્રા માટે જાહેર અપીલ
આ પ્રસંગે મોરબી ઇસ્કોન કેન્દ્રના અતુલ વિષ્ણુ દાસ દ્વારા જનતાને એક વિશેષ અપીલ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, “મોરબીની જનતાએ ભગવાનના તમામ ઉત્સવોમાં ઉત્સાહભેર ભાગ લેવો જોઈએ.” આગામી સમયમાં ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાનો મહોત્સવ આવી રહ્યો છે. આ વર્ષે વિશેષતા એ રહેશે કે રથયાત્રા માત્ર શહેરમાં જ નહીં, પરંતુ મોરબીની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પરિભ્રમણ કરશે.સંસ્થા દ્વારા સર્વે ભક્તોને આ આગામી રથયાત્રામાં તન, મન અને ધનથી સહયોગ આપી ભગવાનની સેવાના ભાગીદાર બનવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.











