MORBI:મોરબીવાસીઓ માટે રાહતના સમાચાર: પ્રદૂષિત પાણીની સમસ્યા ઉકેલવા પાલિકા એક્શન મોડમાં

MORBI:મોરબીવાસીઓ માટે રાહતના સમાચાર: પ્રદૂષિત પાણીની સમસ્યા ઉકેલવા પાલિકા એક્શન મોડમાં
મોરબી: શહેરના વિવિધ વિસ્તારોમાં છેલ્લા થોડા સમયથી આવી રહેલા ખરાબ અને પ્રદૂષિત પાણીની વ્યાપક ફરિયાદોનો અંત લાવવા માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. રહેવાસીઓના આરોગ્યને ધ્યાને રાખીને તંત્ર દ્વારા આ પ્રશ્નનો કાયમી નિકાલ કરવાની ખાતરી આપવામાં આવી છે.
લખધીરવાસ, વજેપર, વસંત પ્લોટ અને વાઘપરા જેવા વિસ્તારોમાંથી મળતી ફરિયાદોને ગંભીરતાથી લઈ પાલિકા દ્વારા અલગ-અલગ ટીમોનું ગઠન કરવામાં આવ્યું હતું. આ ટીમોએ અસરગ્રસ્ત વિસ્તારોમાં ઘરે-ઘરે સર્વે કરી ખામીઓ શોધી કાઢી છે.અનેક સોસાયટીઓમાં પાઈપલાઈન રિપેરિંગ અને સફાઈની કામગીરી પૂર્ણ કરી શુદ્ધ પાણી પહોંચાડવાનું શરૂ કરી દેવાયું છે. જે વિસ્તારોમાં હજુ પણ પ્રશ્નો છે ત્યાં કામ ચાલુ છે અને ટૂંક સમયમાં સમગ્ર વિસ્તારમાં શુદ્ધ પીવાનું પાણી મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
ક્લોરીન ડોઝીંગ સીસ્ટમ કાર્યરત પાણીની શુદ્ધતા જાળવી રાખવા માટે મહાનગરપાલિકા હદમાં આવેલા પમ્પિંગ સ્ટેશન પર ક્લોરીન ડોઝીંગ સીસ્ટમ બેસાડવાનું કામ પણ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. આ નવી સિસ્ટમથી પાણી બેક્ટેરિયા મુક્ત અને પીવાલાયક બનશે. મોરબી મહાનગરપાલિકા દ્વારા શુદ્ધ અને પૂરતા પ્રમાણમાં પાણી પૂરું પાડવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેની જાહેર જનતાએ નોંધ લેવી.










