WAKANER:વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ.

WAKANER:વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ.
વાંકાનેર તાલુકામાંથી ઠીકરીયાળા તરફ જતાં માર્ગ પર નદી ઉપર આવેલ જૂનો કોઝવે લાંબા સમયથી જોખમી સ્થિતિમાં હતો. ખાસ કરીને ચોમાસા દરમિયાન પાણીના વધુ પ્રવાહને કારણે આ માર્ગ પર અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ જતી, જેના કારણે સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પહોંચવામાં તેમજ રોજિંદા કામધંધા માટે જતા લોકોને ખાસ અસર થતી હતી.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવે આ સ્થળે આધુનિક સુવિધાઓ સાથે નવા માઇનર બ્રિજના નિર્માણ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ બ્રિજ પૂર્ણ થયા બાદ વિસ્તારના લોકો માટે વર્ષભર સુરક્ષિત અને સરળ વાહનવ્યવહાર સુનિશ્ચિત થશે, તેમજ લાંબા ગાળાની સમસ્યાનો કાયમી ઉકેલ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આજ રોજ નિર્માણાધીન બ્રિજની સ્થળ મુલાકાત દરમિયાન રાજ્યસભાના સાંસદશ્રી કેશરીદેવસિંહ ઝાલા દ્વારા કામગીરીનું નિરીક્ષણ કરવામા આવ્યું હતું. આ પ્રસંગે સ્થાનિક આગેવાનો તથા ગ્રામજનો દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. મુલાકાત દરમિયાન વિવિધ આગેવાનો તથા વિસ્તારના નાગરિકો ઉપસ્થિત રહી કામગીરી અંગે ચર્ચા કરી હતી અને વિકાસકાર્ય પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો હતો.











