
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
મુંદરાના આંગણે 40% ડિસ્કાઉન્ટ સાથે અદભુત પુસ્તક મેળો : મંગળવાર છેલ્લો દિવસ
મુંદરા,તા. 30:
ઐતિહાસિક મુંદરા નગરના ભવ્ય વારસા સમાન ‘મહારાવ શ્રી ખેંગારજી લાયબ્રેરી’ની ૧૫૧મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે મુંદરાના રોટરી ક્લબ હોલ ખાતે ‘ભાતીગળ પુસ્તક મેળા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રાજાશાહીના સમયથી કચ્છમાં પુસ્તકો અને વાંચન પ્રત્યે જે વિશેષ લગાવ રહ્યો છે તે પરંપરાને સાંપ્રત સમયમાં રાષ્ટ્રીય યુવા અને ગ્રામીણ વિકાસ પરિષદ તથા શ્રી વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ ઇન્સ્ટિટ્યૂટ, માંડવી દ્વારા જીવંત રાખવામાં આવી છે. આ મેળો માત્ર પુસ્તક વેચાણનું કેન્દ્ર નથી પરંતુ જ્ઞાનની સરવાણી સમાન છે.
૪૦% ડિસ્કાઉન્ટ અને વિશેષ યોજનાનો લાભ:
પુસ્તક પ્રેમીઓ માટે આ મેળો આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે કારણ કે અહીં તમામ પુસ્તકો પર ૪૦% સુધીનું માતબર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ખાસ કરીને શાળા-કોલેજો અને ગ્રંથાલયો માટે એક અનોખી યોજના અમલમાં છે જેમાં ૫,૦૦૦ની કિંમતના પુસ્તકોની ખરીદી પર ૪૦% વળતર બાદ કરતાં માત્ર ૩,૦૦૦ ચૂકવવાના રહેશે અને સાથે ૨,૦૦૦ની કિંમતના વિવેકગ્રામ પ્રકાશન-માંડવીના પુસ્તકો ભેટ સ્વરૂપે આપવામાં આવશે. એટલે કે માત્ર ૩૦૦૦માં ૭૦૦૦ના પુસ્તકો. શૈક્ષણિક સંસ્થાઓએ પોતાના પુસ્તકાલયોને સમૃદ્ધ બનાવવા માટે આ સોનેરી તક ચૂકવા જેવી નથી.
મંગળવાર છેલ્લો દિવસ – સ્ટોક મર્યાદિત!
આ પુસ્તક મેળાનો આવતીકાલે ૩૧ માર્ચ, મંગળવારના રોજ અંતિમ દિવસ છે. મુંદરા અને આસપાસના ગ્રામીણ વિસ્તારના લોકોમાં પુસ્તકો પ્રત્યે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે જેને કારણે અમુક વિભાગોના પુસ્તકોનો સ્ટોક હવે ખલાસ થવા આવ્યો છે. ‘વહેલા તે પહેલા’ના ધોરણે જ્ઞાનનો આ ખજાનો ખાલી થઈ રહ્યો હોઈ મુંદરાના નગરજનોએ વહેલી તકે આ મેળાની અવશ્ય મુલાકાત લેવી જોઈએ. શાળાઓએ પણ પોતાના વિદ્યાર્થીઓને પુસ્તક સંસ્કૃતિથી પરિચિત કરાવવા માટે અહીં અવશ્ય લાવવા જોઈએ.
ખાસ નોંધ:
આ પુસ્તક મેળો મુંદરાના રોટરી ક્લબ હોલના પ્રથમ માળે રાખવામાં આવ્યો છે. મુલાકાતીઓને નમ્ર વિનંતી છે કે નીચેનો હોલ ખાલી જોઈને પાછા ન વળતા ઉપરના માળે જઈને પુસ્તકોના આ અદભુત ખજાનાને માણજો. મેળાનો સમય સવારે ૯:૩૦ થી ૧ અને બપોરે ૩ થી સાંજે ૭ સુધીનો રહેશે. મુંદરા-બારોઈ નગરપાલિકા અને રોટરી ક્લબના સહયોગથી આયોજિત આ જ્ઞાન ઉત્સવમાં સહભાગી થઈ મુંદરાના વારસાને દીપાવવા આયોજકો તરફથી જાહેર નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.




વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




