MORBI:મોરબીમાં ‘ગુંડારાજ’ સામે ઉદ્યોગપતિઓનો હુંકાર: હનીટ્રેપ અને ઉઘરાણીના આક્ષેપો સાથે પોલીસ વડાને લેખિતમાં રજૂઆત

મોરબીમાં ‘ગુંડારાજ’ સામે ઉદ્યોગપતિઓનો હુંકાર: હનીટ્રેપ અને ઉઘરાણીના આક્ષેપો સાથે પોલીસ વડાને લેખિતમાં રજૂઆત
“અમે જ જેને આંબો માની પાણી પા્યું, એ બાવળને હવે ઉખાડી ફેંકવાનો સમય પાકી ગયો છે” અગ્રણી રાજુભાઈ પટેલ
મોરબી: મોરબીના રવાપર રોડ પર રહેતા અને મેટ્રો સિરામિક સાથે સંકળાયેલા ઉદ્યોગપતિ શેખરભાઈ રતિભાઈ આદ્રોજાએ મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક (S.P.) ને એક ચોંકાવનારી લેખિત ફરિયાદ આપી છે. જેમાં તેમણે અજય લોરિયા નામના શખ્સ પર ઉછીના આપેલા ૨૫ લાખ રૂપિયા પરત માંગવા બદલ જાનલેવા હુમલો કરવાનો અને અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.
પૈસા પરત માંગતા લોખંડની ખીલીવાળા ધોકાથી હુમલો ફરિયાદ મુજબ, શેખરભાઈએ અજય લોરિયાને સંબંધના નાતે ૨૫ લાખ રૂપિયા હાથ ઉછીના આપ્યા હતા. લાંબા સમયથી ઉઘરાણી કરવા છતાં અજય વાયદા કરતો હતો. ગત ૨૯ માર્ચ ૨૦૨૬ના રોજ રાત્રે ૧૧:૦૦ વાગ્યે અજયે શેખરભાઈને ભારત ટ્રાન્સપોર્ટના ડેલે બોલાવ્યા હતા.
જ્યારે શેખરભાઈ તેમના મિત્ર જયેશભાઈ પાડલીયા સાથે ત્યાં પહોંચ્યા, ત્યારે નશાની હાલતમાં રહેલા અજય લોરિયાએ લોખંડની ખીલીવાળા લાકડાના ધોકા વડે હુમલો કરી દીધો હતો. આ હુમલામાં શેખરભાઈના બંને હાથમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી અને વચ્ચે પડતા તેમના મિત્ર જયેશભાઈને પણ માથાના ભાગે ઈજા થઈ હતી. સીસીટીવી ફૂટેજમાં આ સમગ્ર ઘટના કેદ થઈ હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
સાધુના વેશમાં સેતાન’: ગંભીર આક્ષેપોની યાદી ઉદ્યોગપતિએ એસ.પી.ને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે અજય લોરિયા સામાજિક પ્રવૃત્તિ અને રાષ્ટ્રભક્તિના ઓઠા હેઠળ અનેક કાળા કારોબાર ચલાવે છે. ફરિયાદમાં અજય લોરિયા અને તેના સાળા ઉત્તમ કાચરોલા પર નીચે મુજબની પ્રવૃત્તિઓના આક્ષેપ કરાયા છે: ક્રિકેટ સટ્ટો, એમ.સી.એક્સ ડબ્બા ટ્રેડિંગ, બાયો-ડીઝલનું વેચાણ અને ગોવામાં ગેરકાયદે જુગાર રમાડવો. કિંમતી જમીનો પચાવી પાડવી, હનીટ્રેપ ગોઠવવી અને ૩૫ થી ૪૦ માણસોની ગેંગ બનાવી લોકો પાસેથી પૈસા પડાવવા. વિધર્મીઓ સાથે મળી પાટીદાર યુવાનોને સટ્ટાના રવાડે ચડાવી બરબાદ કરવા અને બહેન-દીકરીઓને પ્રેમજાળમાં ફસાવવી.
શેખરભાઈએ રજૂઆતમાં જણાવ્યું છે કે અજય લોરિયાના ડરને કારણે લોકો ફરિયાદ કરવા આગળ આવતા નથી. આ એક સુનિયોજિત હત્યાનું કાવતરું હતું તેવો પણ તેમણે ભય વ્યક્ત કર્યો છે. તેમણે એસ.પી. સાહેબને વિનંતી કરી છે કે આ મામલે તટસ્થ તપાસ કરવામાં આવે અને મોરબીના અનેક લોકોના નાણાં ઓહિયા કરી જનાર આ શખ્સ સામે કડક કાર્યવાહી કરી ન્યાય અપાવવામાં આવે.
વઘુમાં અગ્રણી રાજુભાઈ પટેલ રોષ ઠાલવ્યો કે ”બાવળને ઉખાડી ફેંકવાનો સમય પાકી ગયો છે”રજૂઆત દરમિયાન અગ્રણી રાજુભાઈ પટેલે રોષ ઠાલવતા એક સૂચક નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, “અમે જ આ બાવળને આંબો માનીને પાણી પાઈને મોટો કર્યો છે, પણ હવે જ્યારે તેનો ત્રાસ વધી ગયો છે, ત્યારે આ બાવળને મૂળમાંથી ઉખાડી ફેંકવાનો સમય આવી ગયો છે.”ગંભીર આક્ષેપોની હારમાળા ઉદ્યોગપતિઓ અને સામાજિક કાર્યકરો દ્વારા કરવામાં આવેલી આ રજૂઆતમાં અજય લોરિયા સામે નીચે મુજબના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.
હનીટ્રેપ અને ગેરકાયદે ધંધા: લોરિયા હનીટ્રેપ જેવી પ્રવૃત્તિઓ અને બે નંબરના ધંધાઓમાં સંડોવાયેલ હોવાનો આક્ષેપ.ગુંડાગીરી અને ઉઘરાણી: સત્તા અને પ્રભુત્વનો દુરુપયોગ કરી ટોળકીઓ બનાવી લોકોને ડરાવવા અને પૈસા પડાવવા.
અગ્રણી મનોજ પનારાએ આકરા પ્રહાર કરતા કહ્યું કે, “આ સાધુના વેશમાં શેતાન છે, જે રાષ્ટ્રભક્તિના નામે દેશદ્રોહી જેવી પ્રવૃત્તિઓ કરી રહ્યો છે.”ક્રાઈમ કુંડળી પોલીસને સોંપાઈ મોરબીના ઉદ્યોગપતિઓએ માત્ર મૌખિક રજૂઆત જ નહીં, પરંતુ અજય લોરિયાની આખી ‘ક્રાઈમ કુંડળી’ (ગુનાહિત ઇતિહાસ) તૈયાર કરીને પોલીસ વડાને સોંપી છે. ઉદ્યોગ જગતના આગેવાનોનું કહેવું છે કે મોરબીના શાંતિપૂર્ણ વાતાવરણને ડહોળતા આવા તત્વો સામે કડક કાયદાકીય પગલાં ભરવા અનિવાર્ય છે.આ મામલે હવે પોલીસ કેવા પ્રકારની તપાસ હાથ ધરે છે અને અજય લોરિયા સામે શું પગલાં લેવાય છે, તેના પર સમગ્ર મોરબીની મીટ મંડાયેલી છે.
બોક્સ – લોકોના સવાલ વચ્ચે મોરબીના ત્રણ નેતાઓનું ‘ભેદી મૌન‘.સૌથી મોટો સવાલ એ છે કે, આટલી ગંભીર ઘટનાઓ છતાં સત્તાધારી પક્ષના ત્રણ દિગ્ગજ નેતાઓ કેમ મૌન સેવીને બેઠા છે? શું આ નેતાઓ પણ લોરિયાના ‘ડિજિટલ પિંજરા’માં કેદ છે? આ હુમલા અને સીડી કાંડની ગંદકીએ ભાજપની છબીને કાદવમાં ખરડી નાખી છે. છતાં, ભાજપના સ્થાનિક નેતાઓ જાણે ‘મીણના પૂતળા’ બની ગયા હોય તેમ કશું જ બોલવા તૈયાર નથી.













