
વિજાપુર વસાઇમાં સોની સમાજનો આનંદ ગરબા મહોત્સવ ઉજવાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના વસાઇ ખાતે સોની સમાજની કુલદેવી શ્રી કનેરી માતાજીના પટાંગણમાં ચૈત્ર સુદ પૂનમ તથા હનુમાન જયંતિના પાવન અવસરે ભવ્ય આનંદ ગરબા મહોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે શ્રી વલ્લભભટ્ટ રચિત શ્રી બાલાત્રિપુરાસુંદરી તથા શ્રી બહુચરરાજી માતાજીના ૧૧૮ પંક્તિના પરંપરાગત આનંદના ગરબા ગૂંજી ઉઠ્યા હતા.
આ સાથે જ શ્રી કનેરી માતાજીના શિખર પર ધજા રોહણ વિધી કરવામાં આવી હતી. આ પ્રસંગે અખિલ હિંદ સોની સમાજ તેમજ અમદાવાદ, કડી, વિજાપુર અને વિસનગરના સોની સમાજના આગેવાનો અને સમાજસેવકો ઉપસ્થિત રહી ધાર્મિક લાભ લીધો હતો.
કાર્યક્રમના અંતે સર્વે ભક્તોએ માતાજીના સાનિધ્યમાં ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો. સોની સમાજ દ્વારા આયોજિત આ આનંદ ગરબા મહોત્સવને બીજા વર્ષમાં સફળ પ્રવેશ મળતા સમાજમાં ખુશીની લાગણી વ્યાપી હતી.





