અમદાવાદમાં ‘શક્તિ એવોર્ડ 2026’નું આયોજન: ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા 11 પ્રતિભાશાળી મહિલાઓનો સન્માન સમારોહ

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ, 5 એપ્રિલ 2026: મહિલા સશક્તિકરણ અને સમાજ વિકાસને પ્રોત્સાહન આપતા એક મહત્વપૂર્ણ કાર્યક્રમ તરીકે ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદના AMA ખાતે ‘શક્તિ એવોર્ડ 2026’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર 11 મહિલાઓને એવોર્ડ અને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં વૈષ્ણવાચાર્ય યદુનાથ મહોદયા, જાણીતા વક્તા રેખાબેન દેસાઈ, ગાયનોકોલોજિસ્ટ ડૉ. લીના પટેલ અને શિક્ષણવિદ ગિતીકા સલુજા સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. ઉપસ્થિત આગેવાનો દ્વારા મહિલાઓના યોગદાનની પ્રશંસા કરવામાં આવી અને સમાજના સર્વાંગી વિકાસમાં તેમની ભૂમિકા મહત્વપૂર્ણ ગણાવી હતી.
ડ્રીમ ફાઉન્ડેશનના ફાઉન્ડર નિરવ જે. શાહે જણાવ્યું હતું કે મહિલા સશક્તિકરણ માત્ર એક વિચાર નથી, પરંતુ સમાજ અને રાષ્ટ્રના વિકાસનો મજબૂત આધારસ્તંભ છે. તેમણે ઉમેર્યું કે, શક્તિ એવોર્ડ્સનો મુખ્ય હેતુ એવી મહિલાઓને ઓળખ આપવાનો છે જેઓ પોતાના ક્ષેત્રમાં નવી દિશા આપી રહી છે અને અન્ય માટે પ્રેરણારૂપ બની રહી છે.
આ એવોર્ડ સમારોહમાં વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિ હાંસલ કરનાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું, જેમાં સોનાલી મોહંતી (HR અને સોફ્ટ સ્કિલ ડેવલપમેન્ટ), ડૉ. મિતાલી વસાવડા (હેલ્થકેર), લિપી ગોયલ (વોઇસ અને આર્ટ), હેપ્પી રબારી અને લકી રબારી (લોકકલાઓ), બિરવા મહેતા (સામાજિક સેવા), ધૈર્ય રાઠોડ (મીડિયા અને પત્રકારિતા), સ્વાતિ પંચાલ (ફાઈનાન્સ અને સ્ટાર્ટઅપ), માયા જોશી (શિક્ષણ), અંજલિ કોઠારી (વેલનેસ કોચિંગ) અને ખુશ્બૂ વૈદ્ય (એડટેક અને ઇનોવેશન)નો સમાવેશ થાય છે.
કાર્યક્રમ દરમિયાન સન્માનિત મહિલાઓએ પોતાના અનુભવો પણ શેર કર્યા હતા અને યુવા પેઢીને આત્મવિશ્વાસ સાથે આગળ વધવા પ્રેરિત કર્યા હતા. આ પ્રસંગે હાજર રહેલા મહેમાનો અને શ્રોતાઓએ મહિલાઓના સંઘર્ષ અને સફળતાની ગાથાઓને વધાવી લીધી હતી.
ઉલ્લેખનીય છે કે, ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા પોતાની સ્થાપનાના બે વર્ષ પૂર્ણ થવાના અવસરે આ એવોર્ડ્સનું પ્રથમ આયોજન કરવામાં આવ્યું હતું, જેને લઈ સંસ્થા સાથે જોડાયેલા સ્વયંસેવકો, દાતાઓ અને હિતેચ્છુઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો.
ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા શિક્ષણ, આરોગ્ય, મહિલા સશક્તિકરણ અને સ્વનિર્ભરતા જેવા ક્ષેત્રોમાં સતત કામગીરી કરવામાં આવી રહી છે. ખાસ કરીને ‘પસ્તી સે પઢાઈ તક’ જેવી પહેલો દ્વારા ગરીબ અને વંચિત વર્ગના બાળકોને શિક્ષણ તરફ પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. આ પ્રકારના કાર્યક્રમો સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે.








