“તેજસ્વીની સંસ્કૃતિધામ”વાસુર્ણા ડાંગમાં 2000 શ્રીફળથી કીડિયારૂ સેવા યજ્ઞની ભવ્ય પૂર્ણાહુતિ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી-સુરત વિસ્તારમાં સેવાકાર્યો માટે જાણીતા જય ગોપાલ ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડાંગ જિલ્લાના પરમ શાંતિધામ એવા વાસુર્ણા સ્થિત તેજસ્વીની સંસ્કૃતિધામ ખાતે 2000 શ્રીફળથી અવિરત કીડિયારૂ સેવા યજ્ઞની ભવ્ય પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
આધુનિક કળિયુગમાં જ્યાં સ્વાર્થ, સંકુચિતતા અને આરોપ-પ્રત્યારોપનો માહોલ વ્યાપક બન્યો છે, ત્યાં આ પ્રકારના માનવતાભર્યા કાર્ય સમાજ માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યા છે. આ પ્રસંગે બ્રહ્મવાદિની પૂજ્ય હેતલ દીદીએ સંદેશ આપતા જણાવ્યું હતું કે, “માનવી માનવ થાય તો ઘણું” અને આજના સમયમાં “વ્યક્તિ નિર્માણથી જ રાષ્ટ્ર નિર્માણ શક્ય છે”. તેમણે સમાજને સંસ્કાર, શિક્ષણ અને સંસ્કૃતિ દ્વારા પ્રકૃતિ, પર્યાવરણ અને પરમાત્મા તરફ આગળ વધવા માટે પ્રેરિત કર્યા. કાર્યક્રમ અંતર્ગત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ યોજાઈ હતી. શારદા મઠ, ગણદેવી દ્વારા 500 જેટલા વિધવા અને વિધુર ભાઈ-બહેનોને કપડાંનું વિતરણ કરવામાં આવ્યું.
નવસારીના વિપુલભાઈ અને સુરેશભાઈ દ્વારા યુવાનો તથા વૃદ્ધો માટે 3000 ટી-શર્ટનું વિતરણ કરવામાં આવ્યું. રિષભ ચેરીટેબલ ટ્રસ્ટના શ્રી અતુલભાઈ મહેતાએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. સાથે જ વાલજીભાઈ તથા તેમની ટીમ દ્વારા ગૌમાતા માટે ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પૂજ્ય હેતલ દીદીના માર્ગદર્શન હેઠળ રાત્રિ ધ્યાન અને સત્સંગનું આયોજન કરવામાં આવ્યું, જેના માધ્યમથી ઉપસ્થિતોમાં સંસ્કારોનું સિંચન થયું. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ધનસુખભાઈ, તેજસ્વીની સંસ્કૃતિ પરિવાર, વાલજીભાઈ અને જય ગોપાલ ગૌસેવા પરિવાર દ્વારા ખુબ જહેમત ઉઠાવવામાં આવી. ઉપરાંત, સાધ્વી યશોદાદીદીના આશીર્વાદોથી કાર્યક્રમને આધ્યાત્મિક ઊર્જા પ્રાપ્ત થઈ.આવો સેવા યજ્ઞ સમાજમાં માનવતા, સહકાર અને સંસ્કારના મૂલ્યોને મજબૂત બનાવતો એક અનોખો અને પ્રેરણાદાયક પ્રયાસ સાબિત થયો છે.




