વાવ-થરાદ જિલ્લામાં મતદાર જાગૃતિ માટે વહીવટી તંત્રના સક્રિય પ્રયાસો: SVEEP અભિયાન હેઠળ મતદાન જાગૃતિ કાર્યક્રમોનું આયોજન

16 એપ્રિલ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, ૨૦૨૬ વાવ – થરાદ
વાવ-થરાદ જિલ્લામાં મતદાર જાગૃતિ માટે વહીવટી તંત્રના સક્રિય પ્રયાસો: SVEEP અભિયાન હેઠળ મતદાન જાગૃતિ કાર્યક્રમોનું આયોજન.નવનિર્મિત વાવ-થરાદ જિલ્લામાં પ્રથમ વખત તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તેમજ સ્થાનિક સ્વરાજ્યની નગરપાલિકાઓની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. ચૂંટણી પ્રક્રિયા સુચારૂ અને સફળ બને તે માટે વિવિધ આયોજન કરવામાં આવી રહ્યા છે. ચૂંટણીમાં નાગરિકો વધુમાં વધુ મતદાન કરે તે માટે વહીવટી તંત્ર દ્વારા જાગૃતિ અભિયાનો યોજાઈ રહ્યા છે. મતદાર જાગૃતિ અભિયાન (SVEEP – Systematic Voters’ Education and Electoral Participation) અંતર્ગત વાવ-થરાદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં મતદાન અંગે જાગૃતિ ફેલાવવા માટે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગત રોજ થરાદ શહેરના મુખ્ય વિસ્તારો, જેમાં નગરપાલિકા વિસ્તાર અને બસ સ્ટેશન વિસ્તારનો સમાવેશ થાય છે, ત્યાં તાલુકા નોડલ અધિકારી શ્રી કરસનભાઈ પરમાર અને જિલ્લા સહ નોડલ અધિકારી શ્રી દિનેશકુમાર ત્રિવેદી દ્વારા બેનરો સાથે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન મતદારોને મતદાન કરવા માટે સંકલ્પ અને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.આ ઉપરાંત, જિલ્લા મતદાર જાગૃતિ કાર્યક્રમના નોડલ અધિકારી તથા જિલ્લા શિક્ષણ અધિકારી ડૉ. હિતેશ પટેલ દ્વારા પરિપત્ર જારી કરીને વાવ-થરાદ જિલ્લાના તમામ શાળાઓમાં આગામી ૨૪ એપ્રિલ ૨૦૨૬ સુધી વિવિધ સ્પર્ધાઓ યોજવા સૂચના આપવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલા આ પ્રયાસોથી વિસ્તારમાં મતદારોમાં જાગૃતિ વધે, તેઓ મતદાન પ્રત્યે પ્રેરિત થાય અને મોટી સંખ્યામાં મતદાન નોંધાય તેવા પ્રયત્નો થઈ રહ્યા છે.









