
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
માલપુર – ત્રણ ઠગબાજોએ નિર્દોષ વૃદ્ધા પાસે અંદાજે 1 કિલો ચાંદીના કડલા પડાવી લીધા હતા.દુઃખી થયેલી વૃદ્ધાએ ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી – SOG એ 2 આરોપી ઝડપી પાડ્યા
અરવલ્લી | વૃદ્ધાને ઠગીને દાગીના લૂંટ્યા બાદ આત્મહત્યા, SOGએ ગણતરીના કલાકોમાં ગુનો ઉકેલ્યો

અરવલ્લી જિલ્લાના માલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હૃદયદ્રાવક બનાવ સામે આવ્યો છે, જેમાં ત્રણ ઠગબાજોએ એક નિર્દોષ વૃદ્ધાને વિશ્વાસમાં લઈ તેમની પાસે રહેલા અંદાજે 1 કિલો ચાંદીના કડલા પડાવી લીધા હતા. આ ઘટનાથી દુઃખી થયેલી વૃદ્ધાએ ઝેરી દવા પી આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.ઘટનાની ગંભીરતા જોતા અરવલ્લી જિલ્લા પોલીસ તંત્ર તરત જ સક્રિય થયું હતું. જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ને તપાસ સોંપવામાં આવી હતી. SOGની ટીમે ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.તપાસ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપીઓ GJ 31 AB 5480 નંબરની એક્ટિવા પર મોડાસા તરફ જવાના છે. જેના આધારે સર્વોદયનગર ડુંગરી વિસ્તારમાં નાકાબંધી ગોઠવવામાં આવી હતી. દરમિયાન શંકાસ્પદ એક્ટિવાને રોકી તપાસ કરતાં બે આરોપીઓ દેવાભાઈ ઉર્ફે ભાટિયા ધીરાભાઈ સલાટ અને દિલીપભાઈ મોહનભાઈ સલાટને ઝડપી પાડવામાં આવ્યા હતા.પોલીસ પૂછપરછમાં બંનેએ ગુનો કબૂલ્યો હતો. પોલીસે તેમની પાસેથી અંદાજે 2.50 લાખ રૂપિયાના 1 કિલો ચાંદીના કડલા તેમજ 50 હજાર રૂપિયાની એક્ટિવા મળી કુલ 3 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.તપાસમાં ખુલ્યું છે કે આ ગુનામાં ત્રીજો આરોપી અર્જુન ઉર્ફે અજય રાઠોડ પણ સંડોવાયેલો છે, જે હાલ ફરાર છે. પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.આ બનાવે સમાજમાં ફરી એકવાર ચિંતા ઊભી કરી છે કે ઠગબાજો હવે વૃદ્ધોને નિશાન બનાવી રહ્યા છે. પોલીસ દ્વારા નાગરિકોને સાવચેત રહેવા અને અજાણ્યા વ્યક્તિઓ પર વિશ્વાસ ન રાખવા અપીલ કરવામાં આવી છે.





