પંચમહાલમાં બાળમજૂરીના દૂષણને ડામવામાં શ્રમ વિભાગની લાચારી: પોતાની નિષ્ફળતાનો ટોપલો મીડિયા પર ઢોળ્યો

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા 
પંચમહાલ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં લગ્નગાળા દરમિયાન વરઘોડામાં ઝુમર લાઈટો ઉંચકવા જેવા જોખમી કામોમાં માસૂમ બાળકોના શોષણનો મુદ્દો ગરમાયો છે, ત્યારે આ ગંભીર બાબતે કાર્યવાહી કરવામાં નિષ્ફળ નીવડેલા શ્રમ વિભાગે વિચિત્ર વલણ અપનાવ્યું છે. મદદનીશ શ્રમ આયુક્તની કચેરી દ્વારા તાજેતરમાં શહેરા તાલુકાના વિવિધ ગામોમાં કરવામાં આવેલી તપાસમાં એકપણ બાળમજૂર ન મળ્યાનો ‘લૂલો બચાવ’ કરવામાં આવ્યો છે અને પોતાની નિષ્ક્રિયતા છુપાવવા માટે હવે મીડિયાકર્મીઓ પાસે ૪૮ કલાક અગાઉ બાતમીની માંગણી કરતો પત્ર જાહેર કર્યો છે. તંત્ર દ્વારા જારી કરાયેલા આ આદેશથી સવાલો ઉભા થયા છે કે શું ગુપ્તચર નેટવર્ક ઉભું કરવાની જવાબદારી પત્રકારોની છે? સ્થાનિક પોલીસ કે પંચાયત સ્તરે સંકલન સાધી કડક કાર્યવાહી કરવાને બદલે, શ્રમ વિભાગ માત્ર કાગળ પરની પ્રક્રિયાઓ અને મીડિયા પર જવાબદારી ઢોળીને સંતોષ માની રહ્યું હોય તેવું જણાય છે, જેના કારણે બાળમજૂરી કરાવતા તત્વો બેફામ બન્યા છે અને જનતામાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે
.







