ડીસા ખાતે બનાસકાંઠા અને વાવ -થરાદ ત્રણ ગોળ દેવીપૂજક સમાજની ભવ્ય મિટિંગ યોજાઈ

*ડીસા ખાતે બનાસકાંઠા અને વાવ -થરાદ ત્રણ ગોળ દેવીપૂજક સમાજની ભવ્ય મિટિંગ યોજાઈ
*
પ્રતિનિધિ દિયોદર ફોટો
અહેવાલ કલ્પેશ બારોટ
નવા પ્રમુખ તરીકે કરસનભાઈ રામસંગભાઈ દેવીપૂજક (લવાણા)ની સર્વાનુમતે વરણી
બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે ગતરોજ ‘ત્રણ ગોળ’ દેવીપૂજક સમાજની એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સમગ્ર બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લામાંથી દેવીપૂજક સમાજના ત્રણેય ગોળના વડીલો, યુવાનો અને આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમાજની એકતા અને ઉત્થાનના હેતુથી યોજાયેલી આ બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા.
આ મિટિંગમાં સમાજના સર્વાંગી વિકાસ માટે નવી સમિતિની રચના કરવામાં આવી હતી. જેમાં લવાણાના વતની અને સમાજમાં મોભાદાર સ્થાન ધરાવતા શ્રી કરસનભાઈ રામસંગભાઈ દેવીપૂજકની સર્વાનુમતે પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. હાજર રહેલા તમામ આગેવાનોએ ફૂલહાર પહેરાવીને નવા વરાયેલા પ્રમુખનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
નવનિયુક્ત પ્રમુખ કરસનભાઈ દેવીપૂજકે પોતાની વરણી બાદ સમાજને સંબોધતા જણાવ્યું હતું કે, “સમાજની સેવા કરવાની મને જે તક મળી છે તે બદલ હું સૌનો આભારી છું. આપણો સમાજ ત્યારે જ આગળ વધશે જ્યારે આપણે વર્ષો જૂના કુરિવાજોનો ત્યાગ કરીશું.”
શિક્ષણ: સમાજના દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે માટે પ્રયાસો કરવા.
કુરિવાજોની નાબૂદી: લગ્ન પ્રસંગો અને સામાજિક રિવાજોમાં થતા બિનજરૂરી ખર્ચ અને અનિષ્ટ પ્રથાઓને દૂર કરવી.
રોજગારી: સમાજના યુવાનો પગભર બને અને નવી રોજગારીની તકો ઊભી થાય તે દિશામાં સંગઠિત થઈને કામ કરવું.
આ કાર્યક્રમમાં ત્રણેય ગોળના મુખ્ય આગેવાનોએ હાજરી આપી સમાજની એકતાના દર્શન કરાવ્યા હતા. બેઠકના અંતે સમાજના ઉત્થાન માટે હકારાત્મક અભિગમ સાથે કામ કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.





