
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

વાંસદા ખાતે હિન્દુ સંગઠનો દ્વારા ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા માંગ સાથે ભવ્ય મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના જૂના ડેપો વિસ્તારમાંથી શરૂ થયેલી આ રેલીમાં હિન્દુ સંગઠનોના આગેવાનો, સામાજિક કાર્યકરો, ગૌભક્તો તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ ઉત્સાહભેર જોડાઈ હતી.
દેશની સંસ્કૃતિ, શ્રદ્ધા અને આસ્થાનું પ્રતીક માનાતી ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવામાં આવે તેવી વર્ષોથી ચાલી આવતી માંગને વધુ મજબૂત બનાવવા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. હાથમાં બેનરો અને ધ્વજો સાથે ગૌરક્ષાના નારા લગાવતા રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ મામલતદાર કચેરીએ પહોંચી હતી.
રેલી દરમિયાન ગાયના બછડાં સાથે ગૌમાતાની પૂજા અર્ચના કરવામાં આવી હતી અને “ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરો” જેવા ગગનભેદી નારાઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
અંતે પ્રતિનિધિમંડળે તાલુકા મામલતદાર શ્રી મીત મોદી ને આવેદનપત્ર સુપ્રત કરી દેશના પ્રધાનમંત્રી, ગુજરાતના મુખ્યમંત્રી તથા રાજ્યપાલને સંબોધીને ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ રજૂ કરી હતી.
આ પ્રસંગે વાંસદાના વિવિધ હિન્દુ સંગઠનોના આગેવાનો, ગૌસેવકો, યુવાનો અને મહિલાઓએ વિશાળ સંખ્યામાં હાજરી આપી ગૌસંરક્ષણ અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેની પોતાની લાગણી વ્યક્ત કરી હતી।





