
તા.૨૦.૦૫.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ 
Singavad:ધરતી આબા જનજાતીય ઉત્કર્ષ અભિયાન અંતર્ગત અનોપપુરા ખાતે આરોગ્યલક્ષી કાર્યક્રમ યોજાયો
દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આવેલા અનોપપુરા સબ સેન્ટર ખાતે “ધરતી આબા જનજાતીય ગામ ઉત્કર્ષ અભિયાન” અંતર્ગત આરોગ્ય જાગૃતિ અને લાભાર્થી કેન્દ્રિત કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોને વિવિધ આરોગ્ય અને કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. જેમાં આયુષ્માન ભારત કાર્ડ યોજના, પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના, ટીબી મુક્ત પંચાયત અભિયાન તેમજ વૃદ્ધ સહાય યોજના સહિત વિવિધ સરકારી આરોગ્ય અને કલ્યાણ યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત, સગર્ભા બહેનોને આધારકાર્ડ, બેંક ખાતા પ્રક્રિયા અને સંસ્થાકીય પ્રસૂતિના મહત્વ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.આરોગ્ય સ્ટાફ દ્વારા ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, સિકલ સેલ રોગ સ્ક્રીનિંગ, બિનચેપી રોગોની તપાસ, જોખમી સગર્ભાઓની ઓળખ તેમજ ઉંમરના દાખલાની કામગીરી ઘટનાસ્થળે જ હાથ ધરવામાં આવી હતી. સગર્ભા માતાઓ તેમજ ૭૦ વર્ષથી વધુ વયના વૃદ્ધ લાભાર્થીઓને પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ આરોગ્ય સેવાઓ તથા સરકારી યોજનાઓનો સીધો લાભ લીધો હતો





