
નર્મદા : સ્વ-ગણતરી પ્રક્રિયા પૂર્ણ કરી નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે નાગરિકોને તેમાં સહભાગી થવા અપીલ કરી
રાજપીપલા : જુનેદ ખત્રી
વસ્તી ગણતરી-૨૦૨૭ અંતર્ગત ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલી સ્વ-ગણતરી (Self Enumeration) પ્રક્રિયામાં નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખએ પોતે ઓનલાઇન સ્વ-ગણતરી પૂર્ણ કરી જિલ્લાના નાગરિકો માટે પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું છે.

ગુજરાત રાજ્યમાં તા. ૧૭ મેથી શરૂ થયેલી આ સ્વ-ગણતરી પ્રક્રિયા આગામી તા. ૩૧ મે-૨૦૨૬ સુધી ચાલુ રહેશે. નર્મદા જિલ્લાના નાગરિકો se.census.gov.in પોર્ટલ પર જઈ મોબાઈલ, લેપટોપ અથવા અન્ય ડિજિટલ ઉપકરણ દ્વારા સરળતાથી પોતાની અને પરિવારની માહિતી સ્વયં નોંધાવી શકે છે.
ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે, “વસ્તી ગણતરી માત્ર એક સરકારી પ્રક્રિયા નથી, પરંતુ દેશના ભાવિ વિકાસનો મજબૂત આધારસ્તંભ છે. તેથી દરેક નાગરિકે જવાબદારીપૂર્વક આ પ્રક્રિયામાં જોડાવું જોઈએ. સ્વ-ગણતરીની ઓનલાઈન પ્રક્રિયા અત્યંત સરળ અને સમય બચાવનાર છે. નાગરિકો અગાઉથી પોતાની ગણતરી પૂર્ણ કરશે તો ગણતરીદાર ઘરે આવે ત્યારે કામગીરી વધુ સરળ અને ઝડપી બની રહેશે.
ધારાસભ્યએ નર્મદા જિલ્લાના તમામ નાગરિકોને રાષ્ટ્રહિતમાં આગળ આવી તા. ૩૧ મે ૨૦૨૬ પહેલાં સ્વ-ગણતરી પૂર્ણ કરી “જાગૃત નાગરિક” તરીકે પોતાની જવાબદારી નિભાવવા અપીલ કરી છે.




