ભરૂચ શહેરમાં બકરી ઈદના પર્વને શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં ઉજવવા અનુલક્ષીને શહેર એ-ડિવિઝન પોલીસ મથકમાં ત્રણ પોલીસ મથકની શાંતિ સમિતિની બેઠક




સમીર પટેલ, ભરૂચ
ભરૂચ શહેરમાં બકરી ઈદના પર્વને શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં ઉજવવા અનુલક્ષીને શહેર એ-ડિવિઝન પોલીસ મથકમાં ત્રણ પોલીસ મથકની શાંતિ સમિતિની બેઠક શહેર ડીવાયએસપીની અધ્યક્ષતામાં યોજાઈ હતી.જેમાં મોટી સંખ્યામાં શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
આગમી 28 મી મે ના રોજ મુસ્લિમ સમાજની બકરી ઈદનો તહેવાર છે ત્યારે ભરૂચ શહેર મદદનીશ પોલીસ અધિકારી સી.કે.પટેલની અધ્યક્ષતામાં એ ડિવિઝન ખાતે એ,બી અને સી ડીવીઝન પોલીસ મથકની શાંતિ સમિતિની બેઠક મળી હતી.આ બેઠકમાં વિવિધ સામાજિક અને ધાર્મિક મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન પોલીસ તંત્ર દ્વારા તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. સાથે જ સોશિયલ મીડિયામાં કોઈપણ પ્રકારના ભ્રામક કે ખોટા સંદેશાઓ વાયરલ કરતા પહેલા તેની સત્યતા ચકાસવા અપીલ કરવામાં આવી હતી.
આ ઉપરાંત તમામ સમાજના લોકો પરસ્પર ભાઈચારો અને શાંતિ જાળવી તહેવારની ઉજવણી કરે તેવી પણ અપીલ કરવામાં આવી હતી.આ બેઠકમાં હિન્દુ તથા મુસ્લિમ સમાજના આગેવાનો સહિત સ્થાનિક પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.




