TANKARA:ટંકારા ઈતિહાસમાં પ્રથમવાર: ત્રણ હાટડી-મઠવારી વિસ્તારના તમામ પરિવારો દ્વારા દ્વારકાધીશજીની ૫૨ ગજની ધ્વજારોહણનો ભવ્ય મહોત્સવ યોજાશે







TANKARA:ટંકારા ઈતિહાસમાં પ્રથમવાર: ત્રણ હાટડી-મઠવારી વિસ્તારના તમામ પરિવારો દ્વારા દ્વારકાધીશજીની ૫૨ ગજની ધ્વજારોહણનો ભવ્ય મહોત્સવ યોજાશે
ટંકારાના ધાર્મિક ઈતિહાસમાં એક નવું સુવર્ણ પૃષ્ઠ ઉમેરાવા જઈ રહ્યું છે. શહેરના ત્રણ હાટડી શેરી-મઠવારી વિસ્તારના સમસ્ત પરિવારો દ્વારા જગત મંદિર દ્વારકા ખાતે ભગવાન શ્રી દ્વારકાધીશજીની ૫૨ ગજની ધ્વજા ચડાવવાનું એક અભૂતપૂર્વ અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ટંકારાના ઈતિહાસમાં આ પ્રથમ એવી ઘટના છે જ્યાં કોઈ એક આખા વિસ્તારના તમામ અઢારેય વર્ણના (જ્ઞાતિના) પરિવારો સાથે મળીને આટલો મોટો ધ્વજારોહણ ઉત્સવ ઉજવી રહ્યા હોય.
અધિક જેઠ માસની પૂનમે ચડશે ૫૨ ગજની ધજા
આ ધાર્મિક મહોત્સવ અંતર્ગત આગામી તા. ૩૧/૦૫/૨૦૨૬ ને રવિવારની સાંજે અધિક જેઠ મહિનો (પુરષોત્તમ માસ) ની પવિત્ર પૂનમના દિવસે ભગવાન દ્વારકાધીશના શિખર પર ૫૨ ગજની નૂતન ધજા ચડાવવામાં આવશે. આ પવિત્ર ધજા આખી રાત જગત મંદિર પર ફરકતી રહેશે. આ દિવ્ય પ્રસંગને લઈને સમગ્ર ત્રણ હાટડી-મઠવારી વિસ્તારના પરિવારોમાં ભારે હર્ષોલ્લાસ અને અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
૨૯ મેના રોજ ધજાના વધામણાં અને વિદ્યાર્થી સન્માન સમારોહ



આ મુખ્ય મહોત્સવ પૂર્વે, આગામી તા. ૨૯/૦૫/૨૦૨૬ ને શુક્રવારના રોજ રાત્રે ૯:૦૦ કલાકે ત્રણ હાટડી ગરબી ચોક ખાતે ભગવાન શ્રી દ્વારકાધીશની પવિત્વ ધજાનું આગમન થશે. આ તકે વિસ્તારના તમામ પરિવારો એકત્રિત થઈને સામૈયા સાથે ધજાજીના ભવ્ય વધામણાં કરશે.
સાથે જ આ મંગલમય અવસરે શિક્ષણ ક્ષેત્રે ઝળકેલી સ્થાનિક પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવા માટે ચાલુ વર્ષે ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ માં ઉત્તીર્ણ (પાસ) થયેલા દિકરા-દિકરીઓનો ભવ્ય સન્માન કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે.
નવદુર્ગા ગરબી મંડળની ટીમ જહેમત ઉઠાવી રહી છે
આ સમગ્ર દિવ્ય આયોજન શ્રી નવદુર્ગા માતાજી અને શ્રી દ્વારકાધીશ ભગવાનની અસીમ કૃપા તેમજ આશીર્વાદથી સાકાર થઈ રહ્યું છે. આ ધાર્મિક ભગીરથ કાર્યને સફળ બનાવવા માટે શ્રી નવદુર્ગા ગરબી મંડળની ટીમ અને તેમનું વાલી મંડળ નિમિત્ત બનીને રાત-દિવસ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. આ આયોજનથી સમગ્ર ટંકારા પંથકમાં ભક્તિમય માહોલ છવાઈ ગયો છે.



