MORBI:મોરબી: “બાજુની દુકાન કોની છે?” તેમ પૂછતાં ‘ખબર નથી’ કહેતા વેપારી પર ચાર શખ્સોનો જીવલેણ હુમલો, હાથ ભાંગી નાખ્યો







MORBI:મોરબી: “બાજુની દુકાન કોની છે?” તેમ પૂછતાં ‘ખબર નથી’ કહેતા વેપારી પર ચાર શખ્સોનો જીવલેણ હુમલો, હાથ ભાંગી નાખ્યો


મોરબી તાલુકાના રંગપર વિરાટનગર નજીક એક ચોંકાવનારો ગુનાહિત બનાવ સામે આવ્યો છે. જેમાં માત્ર “બાજુની દુકાન કોની છે?” તેવું પૂછતાં વેપારીએ અજાણ હોવાનું કહેતા, કારમાં આવેલા ચાર અજાણ્યા શખ્સોએ ઉશ્કેરાઈ જઈને વેપારીને લાકડાના ધોકા વડે બેફામ માર માર્યો હતો. આ હુમલામાં વેપારીનો હાથ ભાંગી નાખવામાં આવ્યો છે અને તેમનો મોબાઈલ પણ તોડી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ અંગે મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, મૂળ પંજાબના વતની અને હાલ મોરબીના રંગપર વિરાટનગર નજીક ફિનોલાઈટ સિરામિક ફેક્ટરી સામે આવેલા હરિપ્રકાશ કોમ્પ્લેક્સમાં દુકાન ધરાવતા યોગેન્દ્રસિંઘ સંદીપસિંઘ જટ્ટ ગત તારીખ 22ના રોજ રાત્રિના સમયે પોતાની દુકાને હાજર હતા.તે દરમિયાન જીજે-13-સીબી-2045 (GJ-13-CB-2045) નંબરની સ્વીફ્ટ કારમાં ચાર અજાણ્યા શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા. કારમાંથી ઉતરેલા શખ્સોએ યોગેન્દ્રસિંઘને તેમની બાજુમાં આવેલી દુકાન કોની છે તે અંગે પૂછપરછ કરી હતી.વેપારી યોગેન્દ્રસિંઘે પોતે આ અંગે કાંઈ જાણતા ન હોવાનું અને ‘મને ખબર નથી’ તેમ કહેતા જ ચારેય શખ્સો એકાએક ઉશ્કેરાઈ ગયા હતા. આરોપીઓએ ગાળો આપીને પોતાની પાસે રહેલા લાકડાના ધોકા વડે વેપારી પર બેફામ હુમલો કરી દીધો હતો. આ હુમલાના કારણે વેપારી યોગેન્દ્રસિંઘના હાથમાં ગંભીર ફ્રેક્ચર થઈ ગયું હતું.એટલું જ નહીં, હુમલાખોરોએ વેપારીનો રૂપિયા 10,000ની કિંમતનો મોબાઈલ ફોન પણ પછાડીને તોડી નાખ્યો હતો અને જતાં-જતાં તેમને જાનથી મારી નાખવાની ધમકી આપીને કારમાં ફરાર થઈ ગયા હતા.આ ચકચારી બનાવ અંગે ભોગ બનનાર વેપારી યોગેન્દ્રસિંઘ જટ્ટ દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકમાં ચારેય અજાણ્યા કાર સવારો વિરૂદ્ધ વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ગુનો નોંધીને કારના નંબરના આધારે હુમલાખોરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.



