
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ.
ભચાઉ,તા૦૮ જૂન : આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) એ ભારત સરકારની એક મહત્વપૂર્ણ આરોગ્ય વીમા યોજના છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને ગુણવત્તાયુક્ત તબીબી સારવાર પૂરી પાડવાનો છે. આ યોજના અંતર્ગત અનેક નાગરિકોને નીરોગી જીવન પ્રાપ્ત થયું છે. જેમાં ભચાઉ તાલુકાના આધોઇ ગામના ૬૦ વર્ષના ખોડાભાઇ દલાભાઇનો પણ સમાવેશ થાય છે.મજૂરી કરીને પેટીયું રળતા આ પરિવારના ખોડાભાઇને લાંબા સમયથી પેટમાં દુ:ખાવાની સમસ્યા રહેતી હતી. તબીબી તપાસ દરમિયાન તેમને Inguinal Hernia (આંતરડીનો હર્નિયા) હોવાનું નિદાન થયું હતું. ડોક્ટર દ્વારા તાત્કાલિક ઓપરેશન કરવાની સલાહ આપવામાં આવી હતી, કારણ કે સમયસર સારવાર ન લેવાય તો સ્થિતિ ગંભીર બની શકે તેમ હતી. લાભાર્થીએ પ્રાથમિક રીતે મોરબી ખાનગી હોસ્પિટલ ખાતે તપાસ કરાવી હતી, જ્યાં વિશેષજ્ઞ ડોક્ટર દ્વારા સર્જરીની જરૂરિયાત સાથે મોટો ખર્ચ જણાવ્યો હતો. જેથી તેઓ આધોઇ પરત ફર્યા હતા, પરંતુ આ દરમિયાન તેઓને આયુષ્યમાન કાર્ડ અંગે જાણકારી મળતા તેઓ પીએચસી આધોઈ-1 ખાતે આવ્યા જયાં કાર્યરત કોમ્યુનિટી હેલ્થ ઓફિસર દ્વારા તેમની પાત્રતા ચકાસી તાત્કાલિક આયુષ્માન ભારત કાર્ડ (PMJAY) બનાવી આપવામાં આવ્યું. આયુષ્માન કાર્ડ પ્રાપ્ત થતાં તેમને ખાનગી હોસ્પિટલ મોરબી ખાતે સંપૂર્ણ રીતે કેશલેસ સર્જરી અને સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. ઓપરેશન સફળતાપૂર્વક થતાં આજે ખોડાભાઇ સંપૂર્ણ સ્વસ્થ થયા છે. સારવાર બાદ તેમની જીવન ગુણવત્તામાં સુધારો આવ્યો છે અને તેઓ સામાન્ય જીવન જીવી રહ્યા છે.PMJAY યોજના દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને ઉચ્ચ ગુણવત્તાની આરોગ્ય સેવા સંપૂર્ણપણે નિઃશુલ્ક મળી રહી છે. આ યોજના કારણે શ્રી ખોડાભાઈ જેવા અનેક દર્દીઓના જીવનમાં સમયસર સારવારથી સ્વસ્થ જીવન પ્રાપ્ત થયું છે. લાભાર્થીએ આરોગ્ય વિભાગ, PMJAY યોજના તથા સમગ્ર ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.



