ભરૂચ: વરેડીયા નજીક અજાણ્યા વાહન અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો, સર્જાયેલા અકસ્માતમાં બે માસૂમના મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી…


સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લામથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 પર આવેલા વરેડીયા ગામ નજીક ગત રાત્રીના સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે માસૂમના મોત નિપજતા ભારે અરેરાટી વ્યાપી જવા પામી હતી. પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર ગતરાત્રીના વરેડીયા નજીક આવેલી ભૂખી ખાડીના બ્રિજ પરથી પસાર થઇ રહેલા કોઇ અજાણ્યા વાહન ચાલકે બાઇક ને ટક્કર મારતા બાઇક પર સવાર મંથન ઉ. વ. 6 તેમજ ક્રિષ્ના કુમાર ઉ. વ. 14 વાહનના ટાયર નીચે આવી જતા ઘટના સ્થળે જ બન્નેનું કરૂણ મોત નિપજવા પામ્યું હતું.
જ્યારે બાઇક સવાર અલ્પેશભાઈને પગના તથા શરીરના ભાગે ઈજાઓ થવા પામી હતી. ઘટનાની જાણ થતા પાલેજ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી જઇ બન્ને મૃતકોના મૃતદેહનો કબજો લઇ પી એમ અર્થે પાલેજ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડ્યા હતા. અકસ્માત સંદર્ભે અલ્પેશભાઇએ પાલેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.



