જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી ખાતે ઔદ્યોગિક ભરતીમેળો યોજાયો : ૪૫ આશાસ્પદ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી

જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી ખાતે ઔદ્યોગિક ભરતીમેળો યોજાયો : ૪૫ આશાસ્પદ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : જિલ્લાના બેરોજગાર યુવાનોને રોજગારીની ઉત્તમ તકો પૂરી પાડવા અને નોકરીદાતાઓ તથા રોજગારવાંચ્છુઓ વચ્ચે સેતુ બનવાના ઉમદા આશય સાથે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢ ખાતે ગત તા. ૧૦ જૂનના રોજ એક ભવ્ય ઔદ્યોગિક ભરતીમેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ ભરતીમેળાના સુચારુ આયોજન ભાગરૂપે જૂનાગઢ જિલ્લાના ૨૦૦૦ થી વધુ નોંધાયેલા ઉમેદવારોને ઈ-મેઇલ તેમજ સોશિયલ મીડિયાના વિવિધ ડિજિટલ માધ્યમો દ્વારા આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ વ્યાપક ઝુંબેશના પ્રતિસાદરૂપે ૬૫ થી વધુ ઉત્સાહી ઉમેદવારો પ્રત્યક્ષ ઈન્ટરવ્યું પ્રક્રિયા માટે ઉપસ્થિત રહ્યા હતા.
ભરતીમેળામાં આવેલી વિવિધ નામાંકિત કંપનીઓના પ્રતિનિધિઓએ ઉપસ્થિત ઉમેદવારોને તેમની સંસ્થામાં ખાલી રહેલી જગ્યાઓ, નિયત મહેનતાણું, કંપની તરફથી મળવાપાત્ર અન્ય પ્રોત્સાહક લાભો અને સુવિધાઓ વિશે વિગતવાર અને સચોટ માહિતી આપી માહિતગાર કર્યા હતા.
ત્યારબાદ કંપનીઓ દ્વારા કડક અને પારદર્શક ઈન્ટરવ્યું પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, કાર્ય-અનુભવ અને કૌશલ્ય (આવડત)ને ધ્યાને રાખીને ઉપસ્થિત ઉમેદવારોમાંથી કુલ ૪૫ જેટલા યોગ્ય રોજગારવાંચ્છુઓની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી.
રોજગારીની પસંદગી પ્રક્રિયાની સાથે-સાથે, રોજગાર કચેરીના તજજ્ઞ કર્મચારીઓ દ્વારા ઉપસ્થિત તમામ યુવાનોને કચેરી દ્વારા ચાલતી વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને સેવાઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમજ ઉમેદવારોનો આત્મવિશ્વાસ વધારવા માટે ખાસ મોટીવેશનલ સેશનનું આયોજન કરી, તેમને ઉજ્જવળ કારકિર્દીના ઘડતર માટે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.



