AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

બાંધકામ નિયમિત થયા બાદ નિયુક્ત સત્તાધિકારી પાસે તે રદ કરવાની સત્તા નથીઃગુજરાત હાઈકોર્ટ

ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે મ્યુનિસિપલ સત્તાધિકારીઓ પાસે એકવાર સત્તાવાર રીતે મંજૂર કરાયેલા પ્રોપર્ટી રેગ્યુલરાઈઝેશન(ઈમ્પેક્ટ ફી)ના આદેશની સમીક્ષા કરવાની કે તેને રદ કરવાની કોઈ કાનૂની સત્તા નથી. જસ્ટિસ નિરલ આર. મહેતાએ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 19 માર્ચ, 2018ના રોજ પસાર કરાયેલા આદેશને રદ કર્યો છે, જેના દ્વારા અમદાવાદમાં આવેલા સ્વસ્તિક કોમ્પલેક્ષ બાંધકામના રેગ્યુલરાઈઝેશનને રદ કરવામાં આવ્યું હતું.

આ કાનૂની વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે મિલકતના મૂળ માલિકે 12 ઓક્ટોબર, 2015ના રોજ ‘ગુજરાત રેગ્યુલરાઈઝેશન ઓફ અનઓથોરાઈઝ્ડ ડેવલપમેન્ટ એક્ટ, 2011’ ની કલમ 6(3) હેઠળ અનધિકૃત બાંધકામને નિયમિત (રેગ્યુલરાઈઝ) કરવાનો આદેશ મેળવ્યો હતો. આ રેગ્યુલરાઈઝેશનમાં ગ્રાઉન્ડ ફ્લોર પર 83.16 ચોરસ મીટર અને પાર્કિંગ વિસ્તારમાં 24.95 ચોરસ મીટરનું અનધિકૃત બાંધકામ સામેલ હતું. ત્યારબાદ અરજદારોએ વર્ષ 2016માં રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજો (સેલ ડીડ) દ્વારા આ કોમ્પલેક્ષની દુકાનો અને ભોંયરાની ખરીદી કરી હતી અને આ જગ્યા બેંક લિમિટેડને ભાડે આપી હતી.

જો કે, વર્ષ 2017 અને 2018માં મળેલી સ્થાનિક ફરિયાદો બાદ, નિયુક્ત સત્તાધિકારીએ આ કાયદાની કલમ 8(4)નો સહારો લઈને રેગ્યુલરાઈઝેશન અચાનક રદ કરી દીધું હતું. કોર્પોરેશનનો દાવો હતો કે, આ બાંધકામ 28 માર્ચ, 2011ની કાનૂની કટ-ઓફ તારીખ પછી કરવામાં આવ્યું હતું. આ આદેશને પગલે ગુજરાત પ્રોવિન્સિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ હેઠળ ડિમોલિશનની નોટિસ પણ જારી કરવામાં આવી હતી.

કોર્પોરેશનની આ કાર્યવાહીને પડકારતા અરજદારોએ દલીલ કરી હતી કે, આ નિર્ણય કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે. કારણ કે, વર્તમાન માલિકોને કોઈ નોટિસ આપવામાં આવી ન હતી કે સાંભળવાની તક પણ આપવામાં આવી ન હતી. તેમણે વધુમાં દલીલ કરી હતી કે, આ કાયદામાં એકવાર મંજૂર થયેલા રેગ્યુલરાઈઝેશનની પુનઃ સમીક્ષા કરવાની કોઈ જોગવાઈ નથી. અરજદારોની દલીલોને ગ્રાહ્ય રાખતા હાઈકોર્ટે કાનૂની માળખાને સ્પષ્ટ કર્યો હતો. 

કોર્ટે અવલોકન કર્યું કે, કલમ 8 માત્ર એવા માપદંડો અને નિયંત્રણો દર્શાવે છે જે સત્તાધિકારીએ કલમ 6 હેઠળ રેગ્યુલરાઈઝેશન આપતા પહેલાં ધ્યાનમાં લેવાના હોય છે. તે સત્તાધિકારીને ભૂતકાળના આદેશને ફરીથી ખોલવાની કે પાછો ખેંચવાની કોઈ સ્વતંત્ર કે મુખ્ય સત્તા આપતું નથી. કોર્પોરેશનની આ રેટ્રોસ્પેક્ટિવ કાર્યવાહીને સંપૂર્ણપણે સત્તા બહારની ગણાવીને હાઈકોર્ટે રેગ્યુલરાઈઝેશન રદ કરતો આદેશ અને ત્યારબાદ આપેલી ડિમોલિશન નોટિસ બંનેને રદ કરી દીધા છે.

Back to top button
error: Content is protected !!