રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી

રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર, આ નવી સિસ્ટમ સક્રિય થવાના કારણે આગામી એક અઠવાડિયા દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં સામાન્ય વરસાદી માહોલ જોવા મળશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં મેઘમહેર થવાની પ્રબળ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આ અંગે હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું કે, ‘હાલમાં જે હવામાનની સિસ્ટમ્સ સક્રિય છે તેના વિશે વાત કરું તો, ગઇકાલે પાકિસ્તાન અને ઉત્તર રાજસ્થાન પર જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું. તે હવે પંજાબ તરફ જતું રહ્યું છે અને મધ્ય પ્રદેશથી અરબી સમુદ્ર સુધીનો ટ્રફ પણ મહારાષ્ટ્ર પર આવી ગયો છે. અત્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર પર એક નવું સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે અને બીજો એક ટ્રફ રાજસ્થાનથી લઈને છત્તીસગઢ થઈને ઓડિશા સુધી વિસ્તરેલો છે. આ સિસ્ટમ્સની અસરથી, હું એવી અપેક્ષા રાખું છું કે આગામી સાત દિવસોમાં ગુજરાત અને કચ્છમાં છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે, પરંતુ હાલ ભારે વરસાદની કોઈ ચેતવણી નથી.’
મુખ્યત્વે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર વરસાદની શક્યતા વધુ છે, જ્યારે મધ્ય ગુજરાતમાં વરસાદ ઓછો રહેશે. છેલ્લા 24 કલાકમાં, મહેસાણામાં સૌથી વધુ 36 mm અને સૌરાષ્ટ્રના બોટાદમાં 10 mm વરસાદ નોંધાયો છે.
તાપમાનની વાત કરું તો, તેમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળ્યો નથી અને આગામી સાત દિવસ સુધી પણ કોઈ મોટા ફેરફારની અપેક્ષા નથી. ગઈકાલે અમદાવાદમાં 40.5 ડિગ્રી અને રાજકોટમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું, અને આજે પણ અમદાવાદનું તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની મને સંભાવના લાગી રહી છે.
પવનોની દિશા દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ તરફની છે, જેમની ઝડપ 15થી 20 નોટ્સ રહેવાની ધારણા છે અને માછીમારો માટે મેં અત્યારે કોઈ ખાસ ચેતવણી આપી નથી. ચોમાસાની વર્તમાન સ્થિતિ વિશે જણાવું તો, હાલમાં ચોમાસાની લાઇન સુરતથી પસાર થઈ રહી છે. પરંતુ, મને પૂરી આશા છે કે આગામી ત્રણથી ચાર દિવસમાં ચોમાસું આગળ વધશે અને તે ગુજરાતના વધુ ભાગોની સાથે મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના અમુક વિસ્તારોમાં પણ પહોંચી જશે.






