GANDHINAGARGANDHINAGAR CITY / TALUKOMORBIMORBI CITY / TALUKOWANKANER

MORBI:મોરબી જિલ્લામાં સફેદ દૂધનો કાળો કારોબાર: વસુંધરા ગામે બોગસ લેટરપેડ અને સહી-સિક્કાથી ચાલતી ગેરકાયદે દૂધ મંડળીનો પર્દાફાશ

 

MORBI:મોરબી જિલ્લામાં સફેદ દૂધનો કાળો કારોબાર: વસુંધરા ગામે બોગસ લેટરપેડ અને સહી-સિક્કાથી ચાલતી ગેરકાયદે દૂધ મંડળીનો પર્દાફાશ

 

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના જાલસિકા અને વસુંધરા સંયુક્ત ગ્રામ પંચાયત હેઠળ આવતા વસુંધરા ગામમાં છેલ્લા બે વર્ષથી બોગસ દસ્તાવેજોના આધારે ગેરકાયદેસર રીતે દૂધ મંડળી ચાલતી હોવાનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. પંચાયતના નકલી લેટરપેડ, સરપંચ અને તલાટીની ખોટી સહી તેમજ બોગસ સિક્કાઓનો ઉપયોગ કરીને ‘વસુંધરા પશુપાલક મહિલા દૂધ મંડળી’ ઊભી કરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો થયા છે. સરપંચ દ્વારા છેલ્લા ૨ વર્ષથી આ મામલે રજૂઆતો કરવામાં આવી રહી હતી, પરંતુ તંત્ર દ્વારા કોઈ જ સંતોષકારક નિકાલ ન આવતા આખરે સામાજિક અગ્રણી યુવરાજસિંહ જાડેજાની આગેવાનીમાં મોરબી જિલ્લા રજિસ્ટ્રાર કચેરીએ ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. જેને પગલે તંત્ર સફાળું જાગ્યું છે અને ૧૦ દિવસમાં તપાસ કરી કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.

૨ વર્ષમાં ૨૨ અરજીઓ અને RTI છતાં અધિકારીઓની ઉદાસીનતા

જાલસિકા-વસુંધરા સંયુક્ત ગ્રામ પંચાયતના સરપંચ ધીરુભાઈ કરશનભાઈ ડાંગરે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “આજથી બે વર્ષ પહેલાં મને જાણ થઈ હતી કે વસુંધરા ગામમાં અમુક સૂચિત મંડળીઓ ગેરકાયદેસર ચાલે છે અને તેમાં પંચાયતના લેટરપેડ અને તલાટીના સિક્કાનો દુરુપયોગ કરી ખોટી સહીઓ કરાઈ છે. આ અંગે મેં જે-તે સમયે તત્કાલીન જિલ્લા રજિસ્ટ્રાર ગઢવી સાહેબને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી, પરંતુ તેમણે ‘આવું તો ચાલતું રહેતું હોય છે’ તેમ કહીને વાત ટાળી દીધી હતી.”

સરપંચે છેલ્લા બે વર્ષમાં આ કાળા કારોબાર સામે ૨૨ જેટલી લેખિત અરજીઓ અને RTI કરી હતી. તાજેતરમાં RTI ના જવાબમાં તંત્રએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૩માં જ આ મંડળીની દરખાસ્ત કેન્સલ (નામંજૂર) કરી દેવામાં આવી છે. આમ છતાં, આજની તારીખમાં પણ આ ગેરકાયદેસર મંડળી ધમધમી રહી છે અને ડેરીમાં દૂધ ભરાવવામાં આવી રહ્યું છે. કોઈ ન્યાય ન મળતા આખરે સરપંચે યુવરાજસિંહ જાડેજાનો સંપર્ક કર્યો હતો.

રેવન્યુ તલાટીના પત્નીના નામે મંડળી હોવાનો આક્ષેપ અને કાયદાનું ઉલ્લંઘન

સામાજિક કાર્યકર યુવરાજસિંહ જાડેજાએ આ સમગ્ર કૌભાંડમાં સરકારી અધિકારીઓની સંડોવણી હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, આ ગેરકાયદેસર દૂધ મંડળી મોરબીમાં રેવન્યુ તલાટી તરીકે ફરજ બજાવતા હરેશભાઈ રેવાભાઈ સરસૈયાના પત્ની ગનુબેનના નામે ચલાવવામાં આવી રહી છે. નિયમોને નેવે મૂકીને કરાયેલા ઉલ્લંઘનની વિગતો આપતા તેમણે ઉમેર્યું કે:

સમયમર્યાદાનો ભંગ: કાયદાકીય રીતે કોઈપણ ‘સૂચિત’ (Proposed) મંડળી માત્ર ૬ મહિના જ ચાલી શકે, જ્યારે આ મંડળી ૨ વર્ષથી ગેરકાયદેસર રીતે કાર્યરત છે.

અંતરના નિયમોનો ભંગ: નિયમ મુજબ એક ગામમાં બીજી મંડળી વચ્ચે ઓછામાં ઓછું ૧.૫ કિલોમીટરનું અંતર હોવું જોઈએ, પરંતુ અહીં માત્ર ૧૦૦ મીટરના અંતરે જ બે-બે મંડળીઓ ઊભી કરી દેવાઈ છે. વસુંધરા જેવા એક જ ગામમાં ૫-૫ મંડળીઓ અને ૩-૩ સૂચિત મંડળીઓ કાર્યરત હોવાનું સામે આવ્યું છે.

દસ્તાવેજો સાથે ચેડાં: સરકારી દસ્તાવેજો, બોગસ લેટરપેડ અને સિક્કાઓનો ખોટો ઉપયોગ એ કાયદાની રૂએ કલમ ૪૬ canvas, ૪૬૭ અને ૪૬૮ અંતર્ગત ગંભીર ગુનો બને છે.

આ મામલે મોરબી જિલ્લા રજિસ્ટ્રાર (કો-ઓપરેટિવ સોસાયટી) ડૉ. બિમલ પટેલે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, “વર્ષ ૨૦૨૩માં જ આ સૂચિત મંડળીની રજીસ્ટ્રેશનની અરજીને તંત્ર દ્વારા રીજેક્ટ (નામંજૂર) કરી દેવામાં આવી હતી. આ મંડળી કાયદેસર રીતે રજીસ્ટર્ડ નથી. રીજેક્ટ થઈ હોવા છતાં આ મંડળી ચાલુ હોવાની બાબત આજે જ અમારા ધ્યાને આવી છે. આથી ડેરી મારફતે આ મંડળીનું દૂધ તાત્કાલિક ધોરણે બંધ કરાવવા અને કાયદેસરની આગળની કાર્યવાહી કરવાના આદેશો આપવામાં આવ્યા છે.”

અધિકારીએ વધુમાં ઉમેર્યું કે, જો આ ગેરરીતિમાં ડેરી કે અન્ય કોઈ સ્ટાફની પણ સંડોવણી અથવા ભૂલ જણાશે, તો તેમની સામે પણ તપાસ કરીને કડક પગલાં લેવાશે તથા આગામી ૧૦ દિવસમાં સરપંચની અરજીઓનો લેખિત અને કાયદેસરનો જવાબ પૂરો પાડવામાં આવશે.

જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા ૧૦ દિવસની અંદર તપાસ કરીને જો જરૂર જણાય તો તંત્ર પોતે ફરિયાદી બનીને પોલીસમાં ગુનો દાખલ કરશે તેવી ખાતરી આપી છે. બીજી તરફ, અરજદારો અને સામાજિક કાર્યકરોએ ચીમકી આપી છે કે જો આગામી ૧૦ દિવસમાં સંતોષકારક અને યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે, તો આ આખા કૌભાંડ મામલે સ્ટેટ રજિસ્ટ્રાર અને સહકારિતા મંત્રી સુધી રજૂઆત કરવામાં આવશે અને ગાંધી ચીંધ્યા માર્ગે કાયદાકીય લડત લડવામાં આવશે. મોરબી જિલ્લાની તમામ સૂચિત મંડળીઓનું લિસ્ટ પણ માંગવામાં આવ્યું છે જેથી આવા અન્ય ‘સફેદ દૂધના કાળા કારોબાર’ને પણ ખુલ્લો પાડી શકાય.

Back to top button
error: Content is protected !!