
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી – ઓપરેશન ‘કારાવાસ’ હેઠળ અરવલ્લી પોલીસની મોટી કાર્યવાહી, 23 નાસતા ફરતા આરોપીઓ ઝડપાયા
અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા “ઓપરેશન કારાવાસ” અંતર્ગત જેલમાંથી પેરોલ-ફર્લો જમ્પ કરનાર, કેદી જાપ્તા, વચગાળાના જામીન પર ફરાર થયેલા તેમજ વિવિધ ગુનાઓમાં વોન્ટેડ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. આ અભિયાન દરમિયાન કુલ 23 આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મળી છે.ગુજરાતના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીના માર્ગદર્શન હેઠળ તથા ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવના માર્ગદર્શન મુજબ અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજાના નેતૃત્વમાં જિલ્લામાં વિશેષ અભિયાન યોજાયું હતું.

તા. 1 જૂનથી 25 જૂન 2026 દરમિયાન હાથ ધરાયેલી આ 25 દિવસીય ડ્રાઇવમાં એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર એમ. એચ. ઝાલાની રાહબરી હેઠળ પો.સ.ઈ. વી. જે. તોમર, પી. પી. સોલંકી, વી. ડી. વાઘેલા, આઈ. એસ. રબારી તેમજ એલ.સી.બી. અને પેરોલ-ફર્લો સ્ક્વોડના સ્ટાફે સંયુક્ત કામગીરી કરી હતી.પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સીસના આધારે આરોપીઓના ઠેકાણા શોધી કાઢ્યા હતા. ઝડપાયેલા આરોપીઓ સામે ચોરી, ઘરફોડ ચોરી, ધાડ, લૂંટ, મારામારી, અપહરણ, પોક્સો, છેતરપિંડી, સાયબર ફ્રોડ તેમજ પ્રોહિબિશન સહિતના ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.અરવલ્લી જિલ્લા પોલીસનું કહેવું છે કે ગુનાખોરી પર નિયંત્રણ લાવવા અને નાસતા ફરતા આરોપીઓને કાયદાના ચુંગાલમાં લાવવા માટે આવનારા સમયમાં પણ આવા વિશેષ અભિયાનો ચાલુ રાખવામાં આવશે.




