
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
અરવલ્લી – ડામર રોડની સાઇડોના માટીકામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, ચોમાસા પહેલાં તપાસની માંગ – ટકાવારી ને લઇ કોન્ટ્રાક્ટરોનો બચાવ કરતું જવાબદાર તંત્ર
અરવલ્લી જિલ્લામાં રોડ-રસ્તાના વિકાસ માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાના કામોને મંજૂરી આપવામાં આવી છે. કેટલાક સ્થળોએ ગુણવત્તાયુક્ત રોડ બન્યા હોવાનું જોવા મળે છે, જ્યારે અનેક સ્થળોએ કામની ગુણવત્તા અંગે સ્થાનિકોમાં અસંતોષ અને પ્રશ્નો ઊભા થયા છે

સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે કેટલાક રોડના કામોમાં મંજૂર એસ્ટિમેટ મુજબ કામગીરી કરવામાં આવતી નથી. ખાસ કરીને ડામર રોડની સાઇડમાં થનારા માટીકામમાં અનિયમિતતા હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. લોકોના જણાવ્યા મુજબ, જ્યાં માટી ભરવાની કામગીરી થવી જોઈએ ત્યાં કેટલાક સ્થળોએ નદીનો કાંકરો, મેડિયા પથ્થર અથવા ડસ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના દાવા થઈ રહ્યા છે.સ્થાનિકોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે કેટલાક કામો પૂર્ણ થાય તે પહેલાં જ ડામરના સેમ્પલ પાસ કરવાની પ્રક્રિયા કરવામાં આવે છે. જોકે, આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.જાગૃત નાગરિકો દ્વારા રજૂ થતી ફરિયાદો છતાં સંબંધિત વિભાગ દ્વારા અસરકારક તપાસ થતી ન હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે. લોકોનું કહેવું છે કે ચોમાસા પહેલાં રોડની સાઇડમાં માટીકામ યોગ્ય રીતે ન થાય તો વરસાદ દરમિયાન રોડને નુકસાન પહોંચવાની શક્યતા રહે છે.સ્થાનિકોએ સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરાવી, એસ્ટિમેટ મુજબ કામગીરી થઈ છે કે નહીં તેની નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. જોકે, આક્ષેપોને લઈને સંબંધિત વિભાગ અથવા કોન્ટ્રાક્ટર તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.



