
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ વચ્ચે ખાપરી નદીમાં અચાનક આવેલા પૂરના કારણે નિલશાક્યા ગામ નજીક ડેમના કામ પર રહેલા ૪૧ પરપ્રાંતિય મજૂરો ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસે સંયુક્ત રીતે ઝડપી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તમામને સહીસલામત બહાર કાઢ્યા.
જિલ્લા કલેક્ટર શ્રી એન.ડી. પરમાર અને જિલ્લા પોલીસ વડા **પૂજા યાદવ**ના માર્ગદર્શન હેઠળ પોલીસ, ડિઝાસ્ટર ટીમ, ૧૦૮ સેવા અને સ્થાનિક લોકોના સહયોગથી જંગલના મુશ્કેલ રસ્તે પહોંચીને તમામ મજૂરોને સુરક્ષિત રીતે મૂળચોન્ડ ગામે આવેલા હનુમાનજી મંદિરે ખસેડવામાં આવ્યા.
રેસ્ક્યુ કરાયેલા ૨૧ પુરુષો, ૯ મહિલાઓ અને ૧૧ બાળકોને તાત્કાલિક ભોજન, પીવાનું પાણી, આશ્રય અને તબીબી સારવાર આપવામાં આવી છે. સાથે જ તેમને સુરક્ષિત રીતે વતન મોકલવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે.




