WAKANER :ડિજિટલ પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુનઃમિલન: PBSC વાંકાનેરની સમજાવટે બદલ્યો નિર્ણય




WAKANER :ડિજિટલ પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુનઃમિલન: PBSC વાંકાનેરની સમજાવટે બદલ્યો નિર્ણય

આજના સોશિયલ મીડિયા યુગમાં ક્ષણિક લાગણીઓના આધારે બંધાતા સંબંધો ક્યારેક વ્યક્તિ અને પરિવાર બંને માટે મુશ્કેલીઓ સર્જતા હોય છે. જોકે વાંકાનેરમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં સમયસર કરાયેલા કાઉન્સેલિંગ અને યોગ્ય માર્ગદર્શન થી એક યુવતીને યોગ્ય નિર્ણય લેવામાં મદદ મળી અને તે પરિવાર સાથે પુનઃ જોડાઈ. આ ઘટના સમાજ માટે પ્રેરણાદાયક ઉદાહરણ બની છે.મળતી માહિતી મુજબ, એક અવિવાહિત યુવતી સોશિયલ મીડિયા મારફતે પરિણીત અને બે બાળકોના પિતા સાથે પ્રેમસંબંધમાં આવી હતી. પરિવારને જાણ થતાં મામલો PBSC વાંકાનેર મહિલા સહાયતા કેન્દ્ર સુધી પહોંચ્યો.

કેન્દ્રના કાઉન્સેલર તેજલબા ગઢવી અને વનીતાબેન સોલંકીએ યુવતી સાથે ધીરજપૂર્વક કાઉન્સેલિંગ કરી સંબંધના લાંબા ગાળાના પરિણામો, પરિવારનું મહત્વ, પોતાની કારકિર્દી, ભવિષ્ય અને સામાજિક જવાબદારીઓ અંગે સમજણ આપી. સતત માર્ગદર્શનના પરિણામે યુવતીએ પરિપક્વ નિર્ણય લઈ પરિવાર સાથે પુનઃ જોડાવાની સંમતિ વ્યક્ત કરી.આ ઘટનાથી માત્ર એક પરિવાર વિખૂટો પડતો અટક્યો એટલું જ નહીં, પરંતુ યુવતીના ઉજ્જવળ ભવિષ્ય માટે પણ નવી આશાનું કિરણ પ્રગટ્યું.મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ કાર્યરત મહિલા સહાયતા કેન્દ્ર ઘરેલુ વિવાદો, લગ્ન પહેલાં અને બાદના મતભેદો, લિવ-ઇન સંબંધો તેમજ અન્ય પારિવારિક અને સામાજિક પ્રશ્નોમાં નિઃશુલ્ક કાઉન્સેલિંગ અને માર્ગદર્શન આપી અનેક પરિવારોને સંવાદ અને સમાધાનનો માર્ગ બતાવી રહ્યું છે.
આ ઘટના યુવા પેઢી અને માતા-પિતા બંને માટે સકારાત્મક સંદેશ આપે છે કે સોશિયલ મીડિયા પર બંધાતા સંબંધોમાં ઉતાવળને બદલે સમજદારી અને જવાબદારી સાથે નિર્ણય લેવો જરૂરી છે. પરિવાર સાથે ખુલ્લો સંવાદ અને યોગ્ય માર્ગદર્શન અનેક મુશ્કેલીઓને સમયસર અટકાવી શકે છે.
પ્રેમ જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે, પરંતુ દરેક સંબંધ વિશ્વાસ, જવાબદારી અને સમજદારીના પાયા પર જ ટકી શકે છે. ક્ષણિક લાગણીઓ કરતાં પરિવાર, ભવિષ્ય અને પોતાના જીવનના હિતને પ્રાથમિકતા આપવી એ જ સાચો અને પરિપક્વ નિર્ણય છે.



