112 પર આવેલા મેસેજથી બચ્યા બે માસૂમ! ભાભર પોલીસે મહિલા અને બાળકોને સલામત છોડાવ્યાq

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ 
વાવ-થરાદ જિલ્લા પોલીસના ભાભર પોલીસ સ્ટેશન દ્વારા સંવેદનશીલ કામગીરી હાથ ધરી એક મહિલા તથા તેના બે બાળકોને સલામત રીતે છોડાવી પરિવાર સાથે પુનઃમિલન કરાવવામાં સફળતા મળી છે.
પોલીસને 112 ઇમરજન્સી સેવા પર મળેલી માહિતી મુજબ ઉજ્જનવાડા કેનાલ નજીક એક મહિલા પોતાના બે બાળકો સાથે હોવાની જાણ થતાં તાત્કાલિક પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મહિલા પોતાના પતિ સાથેના ખટાશભર્યા સંબંધોને કારણે ઘર છોડીને નીકળી હતી અને બાળકો સાથે કેનાલ પાસે પહોંચી હતી.
બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરિક્ષિતા રાઠોડ, જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા તથા વિભાગીય પોલીસ અધિક્ષક એસ. આર. ભારાઇ માર્ગદર્શન હેઠળ ભાભર પોલીસ સ્ટેશનના અધિકારીઓએ મહિલા સાથે સમજાવટ કરી, કાઉન્સેલિંગ આપ્યું અને પરિવારજનોનો સંપર્ક સાધી મહિલા તથા બંને બાળકોને સુરક્ષિત રીતે પરિવારને સોંપ્યા.
આ કામગીરીમાં પીએસઆઈ એ.એ. જોશી, સ્ટાફના પોલીસ કર્મચારીઓ તેમજ 112 પીસીઆર વાનના જવાનોએ મહત્વની ભૂમિકા ભજવી હતી.



