કરમસદમાં ડેન્ગ્યુ જાગૃતિ અભિયાન: શ્રી સંતરામ વિદ્યાલય ખાતે વાહકજન્ય રોગ અટકાયતી વર્કશોપ યોજાયો

કરમસદમાં ડેન્ગ્યુ જાગૃતિ અભિયાન: શ્રી સંતરામ વિદ્યાલય ખાતે વાહકજન્ય રોગ અટકાયતી વર્કશોપ યોજાયો
તાહિર મેમણ – આણંદ – 10+07/2026 – આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ અને કરમસદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે ડેન્ગ્યુ જુલાઈ માસની ઉજવણીના ભાગરૂપે કરમસદની શ્રી સંતરામ વિદ્યાલય ખાતે એક વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સફાઈ કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ વાહકજન્ય રોગચાળાને અટકાવવા માટેની પદ્ધતિઓ અને સાવચેતીના પગલાં વિશે ઊંડાણપૂર્વક સમજ કેળવી હતી. આ વર્કશોપ દ્વારા સ્થાનિક સ્તરે રોગચાળા નિયંત્રણ માટે મજબૂત જનજાગૃતિ ઊભી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પિયુષ પટેલ, જિલ્લા મલેરિયા અધિકારી ડૉ. રાજેશ પટેલ અને આણંદના તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. આઈ. કે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
કરમસદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આયુષ મેડિકલ ઓફિસર ડૉ. દીપ્તિ પટેલ અને જિલ્લા મલેરિયા શાખા દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વાહકજન્ય રોગો સામે આગોતરી તકેદારી રાખવાનો અને નાગરિકોને શિક્ષિત કરવાનો હતો. શ્રી સંતરામ વિદ્યાલયના સહકારથી યોજાયેલા આ વર્કશોપમાં આરોગ્ય કર્મચારીઓએ વૈજ્ઞાનિક અભિગમ સાથે રોગ અટકાયતી કામગીરીની સમજ પૂરી પાડી હતી.
વર્કશોપ દરમિયાન ડૉ. દીપ્તિ પટેલ દ્વારા મચ્છરજન્ય રોગોથી બચવા માટે લેવાતા સાવચેતીના પગલાં અંગે સઘન પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. આ તકે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન મારફતે રાષ્ટ્રીય વાહકજન્ય રોગ અટકાયતી પ્રોગ્રામ અંતર્ગત તમામ તકનીકી માહીતી રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ મચ્છરના જીવનચક્રનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન હતું, અંગે પ્રત્યક્ષ નિદર્શન બતાવવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, આરોગ્ય વિભાગના અધિકારી /કર્મચારીઓ, સફાઈ કર્મીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.





