MORBI:મોરબી: વીસીપરા મેઈન રોડ પર ખાડાઓનું સામ્રાજ્ય, સ્થાનિકોની નગરપાલિકામાં ઉગ્ર રજૂઆત

MORBI:મોરબી: વીસીપરા મેઈન રોડ પર ખાડાઓનું સામ્રાજ્ય, સ્થાનિકોની નગરપાલિકામાં ઉગ્ર રજૂઆત
મોરબીના વોર્ડ નંબર ૨ વિસ્તારમાં આવેલા વીસીપરાના મેઈન રોડ પર ગટર અને પાણીની લાઈનની કામગીરી બાદ પડેલા મોટા ખાડાઓને કારણે સ્થાનિક રહીશો અને વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. રસ્તાની અત્યંત દયનીય હાલતથી કંટાળીને આજે વીસીપરાના આગેવાનો અને રહીશો દ્વારા મોરબી નગરપાલિકા (મહાનગરપાલિકા) કચેરી ખાતે જઈને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.
કમિશનર ન મળતા ડેપ્યુટી કમિશનરને સોંપાયું આવેદન – સ્થાનિક આગેવાનો રાજુભાઈ, મોહસીનભાઈ, હુસેનભાઈ સહિત મોટી સંખ્યામાં રહીશો પાલિકા કચેરીએ પહોંચ્યા હતા. શરૂઆતમાં તેઓએ કમિશનરને મળવાનો સમય માંગ્યો હતો, પરંતુ કમિશનર સમયના અભાવે બહાર નીકળી ગયા હોવાથી, સ્થાનિકોએ ડેપ્યુટી કમિશનર સોનીને રૂબરૂ મળીને પોતાની સમસ્યા અંગે લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી.
૨ થી ૩ ફૂટના ખાડા, જાનહાનિનો સતત ભય – સ્થાનિકોએ રજૂઆતમાં જણાવ્યું હતું કે, વીસીપરા મેઈન રોડ પર લાઈન ફિટિંગ બાદ જે પુરાણ કરવામાં આવ્યું હતું, તે તાજેતરના વરસાદને કારણે બેસી ગયું છે. જેના લીધે રસ્તા પર ૨ થી ૩ ફૂટ જેટલા ઊંડા ખાડા પડી ગયા છે.
લોકોની મુખ્ય ફરિયાદો અને હાલાકી:રસ્તા પર વાહન ચલાવવું કે પગપાળા ચાલવું પણ મુશ્કેલ બન્યું છે.
તાજેતરમાં જ એક સિમેન્ટ ભરેલી ગાડી અહીં ફસાઈ ગઈ હતી, જ્યારે બે લોકો ખાડામાં પડી જતાં ઈજાગ્રસ્ત થયા હતા.પ્રી-મોન્સૂન કામગીરી માત્ર ૫૦ ટકા જ થઈ હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે.ખાડા પૂરવા માટે સામાન્ય મેટલ કે કોન્ક્રીટ નાખવાની કામગીરી પણ યોગ્ય રીતે કરવામાં આવતી નથી.તંત્રની બે દિવસની ખાતરી, નહીંતર ઉગ્ર આંદોલન રહેવાસીઓની ઉગ્ર રજૂઆત અને આક્રોશ જોયા બાદ ડેપ્યુટી કમિશનર સોનીએ આગામી ૨ દિવસમાં આ પ્રશ્નનું યોગ્ય નિરાકરણ લાવવાની ખાતરી આપી છે.બીજી તરફ, સ્થાનિક આગેવાનોએ તંત્રને સ્પષ્ટ ચીમકી આપતા જણાવ્યું છે કે, જો આગામી બે દિવસમાં તાત્કાલિક ધોરણે રસ્તાનું સમારકામ કરીને લોકોની હાલાકી દૂર કરવામાં નહીં આવે, તો વીસીપરાના અસંખ્ય લોકોને સાથે રાખીને પાલિકા કચેરી ખાતે ઉગ્ર આંદોલન અને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.









