
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી – નકલી સિંચાઈ કચેરી મામલે રાજકીય ગરમાવો : યુથ કોંગ્રેસે ₹ 40 થી વધુ કરોડના કથિત ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ ઉઠાવી – જિલ્લા પ્રમુખ સામે ગંભીર આક્ષેપો, પરિવારની જ મંડળીઓ બનાવી..!!
કથિત સિંચાઈ કચેરી મામલે કમિટી બનાવવામાં આવી હતી અને તપાસ બાદ સમગ્ર તપાસ નો રિપોર્ટ ગુજરાત સરકારમાં મોકલવામાં આવેલ હતો અને આ તપાસ પૂર્ણ થતા અહેલાવ પણ જિલ્લામાં મોકલી આપવામાં આવ્યો હોવાનું સૂત્રો ધ્વારા માહિતી પ્રાપ્ત થઈ છે જોકે જિલ્લાના જવાબદાર તંત્ર ધ્વારા અહેવાલ રજૂ કરવામાં આવ્યો કે નહીં તેને લઈ સવાલો ઉભા છે તો બીજી તરફ એ પણ સૂત્રો ધ્વારા માહિતી પ્રાપ્ત થઈ છે કે કેટલીક એજન્સી તરફ થી રકમ રિકવર પણ કરવામાં આવી છે તેવું જાણવા મળ્યું છે
અરવલ્લી જિલ્લામાં 22 મે, 2024ના રોજ ઝડપાયેલી કથિત નકલી સિંચાઈ કચેરીના મામલે હવે રાજકીય માહોલ ગરમાયો છે. જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ આશુતોષ રાઠોડે પ્રેસ કોન્ફરન્સ યોજી પૂર્વ કાર્યપાલક ઇજનેર પી. એમ. ડામોર અને ભાજપના જિલ્લા પ્રમુખ ભીખાજી ઠાકોર સામે અંદાજે ₹ 40 થી ₹ 42 કરોડના કથિત ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા છે.
આશુતોષ રાઠોડે દાવો કર્યો હતો કે વર્ષ 2018 થી 2023 દરમિયાન પરિવારજનોના નામે 10 થી 15 જેટલી મજૂર મંડળીઓ બનાવી મેઘરજ, માલપુર, ધનસુરા અને ભિલોડા તાલુકામાં વિવિધ વિકાસના કામો કરવામાં આવ્યા હતા. તેમના આક્ષેપ મુજબ અનેક કામો નિયમિત ટેન્ડર પ્રક્રિયા વિના ફાળવવામાં આવ્યા હતા અને સરકારી નાણાંની ગેરરીતિ કરવામાં આવી હતી.પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે RTI ના આધારે મેળવેલા હોવાનું જણાવાતા દસ્તાવેજો રજૂ કરી સમગ્ર મામલે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB), લોકાયુક્ત સહિત સંબંધિત ઉચ્ચ અધિકારીઓ દ્વારા નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી હતી.યુથ કોંગ્રેસે ચેતવણી આપી હતી કે જો સમગ્ર મામલે યોગ્ય તપાસ હાથ ધરવામાં નહીં આવે તો ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી (PIL) દાખલ કરવામાં આવશે અને ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે
જોકે સમગ્ર આક્ષેપો ને લઇ મીડિયા કર્મીઓ ધ્વારા જિલ્લા સંગઠન પ્રમુખને આ બાબતે પૂછતા તેમણે જણાવ્યું હતું કે આ બાબતે સમય આવશે ને તપાસ થશે ત્યારે જવાબ આપીશું તેમજ આ બાબતે જે હશે એ તપાસનો વિષય છે તેવું જણાવ્યું હતું ત્યારે હવે જોવું એ રહ્યું કે શું આ આક્ષેપોને લઈ યોગ્ય તપાસ થશે કે નહીં.. કે પછી બધું દબાવી દેવાશે કે પછી આક્ષેપો ખોટા સાબિત થશે કે સાચા એતો આવનાર સમય જ બતાવશે
નોંધ: ઉપરોક્ત તમામ આક્ષેપો જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ આશુતોષ રાઠોડ દ્વારા પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કરવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. આક્ષેપો અંગે સંબંધિત વ્યક્તિઓનો સત્તાવાર પ્રતિભાવ પ્રાપ્ત થશે તો તેને પણ સમાન મહત્વ સાથે રજૂ કરવામાં આવશે.





