કોકરોચ જનતા પાર્ટીની સરકારને ચેતવણી! કહ્યું- દગો સાંખી નહીં લેવાય, ફરી આંદોલન કરીશું

કોકરોચ જનતા પાર્ટી(CJP)એ કેન્દ્ર સરકાર સામે કડક વલણ અપનાવતા ખુલ્લી ચેતવણી આપી છે. CJPનું કહેવું છે કે, આંદોલનકારીઓ સામે કોઈ પોલીસ કાર્યવાહી ન કરવા અંગે અગાઉ થયેલા કરારનો સતત ભંગ થઈ રહ્યો છે. જો તમામ FIR પાછી ખેંચવામાં નહીં આવે અને અટકાયત કરાયેલા વિદ્યાર્થીઓને મુક્ત કરવામાં નહીં આવે, તો સંગઠન ફરીથી દેશવ્યાપી ધરણા પ્રદર્શન શરૂ કરવા માટે મજબૂર બનશે.
CJPના રાષ્ટ્રીય પ્રવક્તા આશુતોષ રાંકાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા અને ડૉ. જિતેન્દ્ર સિંહને ટેગ કરીને એક કડક સંદેશ જાહેર કર્યો છે.
આશુતોષ રાંકાએ આક્ષેપ કર્યો છે કે, બિહાર અને બંગાળમાં સબળ પુરાવા વિના પણ સેંકડો વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત દિલ્હી અને અન્ય રાજ્યોમાં પ્રદર્શનકારીઓ તથા તેમને સહાય પૂરી પાડતા સ્વયંસેવકો પર સતત નજર રાખવામાં આવી રહી છે, અને તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે, જે અગાઉ થયેલા કરારનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.
CJPએ સરકાર સમક્ષ મુખ્ય 3 માંગણીઓ મૂકી છે
પ્રદર્શનકારીઓ સામે નોંધાયેલી તમામ FIR તાત્કાલિક પાછી ખેંચવામાં આવે.
બિહાર, બંગાળ અને અન્ય રાજ્યોમાં અટકાયત કરાયેલા વિદ્યાર્થીઓને તુરંત મુક્ત કરવામાં આવે.
દિલ્હી પોલીસ, કેન્દ્રીય તપાસ એજન્સીઓ અને ભાજપ શાસિત રાજ્યો દ્વારા ભવિષ્યમાં કોઈ નવી FIR નોંધવામાં ન આવે.
પાર્ટીના મુખ્ય પ્રવક્તા સૌરવ દાસે જણાવ્યું હતું કે, CJPએ કેન્દ્ર સરકારના એ આશ્વાસન બાદ જ પોતાનું આંદોલન પાછું ખેંચ્યું હતું કે, કોઈ કડક કાર્યવાહી નહીં થાય. જો આ કમીટમેન્ટ તૂટશે, તો તે દેશના લાખો યુવાનો સાથે વિશ્વાસઘાત ગણાશે.



