MORBI:કપાસના પાકમાં ‘પેરાવિલ્ટ/નવા સૂકારા’ના નિયંત્રણ માટે ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતો માટે માર્ગદર્શિકા જાહેર

MORBI:કપાસના પાકમાં ‘પેરાવિલ્ટ/નવા સૂકારા’ના નિયંત્રણ માટે ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતો માટે માર્ગદર્શિકા જાહેર
સેંદ્રીય ખાતરનો પૂરતો ઉપયોગ કરવા, આંતરખેડ કરવા તેમજ સૂકારાની શરૂઆતના ૧૨ કલાકમાં જ માવજત કરવા ખેતીવાડી વિભાગની અપીલ
મોરબી જિલ્લામાં કપાસના ઊભા પાકમાં ‘પેરાવિલ્ટ’ એટલે કે નવા સૂકારાના રોગથી પાકને રક્ષણ આપવા અર્થે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતો માટે અગત્યની કૃષિ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. કપાસમાં સૂકારાના નિયંત્રણ માટે જમીનમાં પૂરતા પ્રમાણમાં સેંદ્રીય ખાતર આપવા તેમજ જમીનની નિતાર શક્તિ વધારવા જણાવવામાં આવ્યું છે. હલકી જમીનમાં ઝીંડવાની સંખ્યા વધુ હોય ત્યારે ટૂંકા ગાળે પિયત આપવું અને વધુ વરસાદ કે પિયત બાદ વરાપ થયે તાકીદે આંતરખેડ કરવી, જેથી મૂળ વિસ્તારમાં હવાની અવરજવર જળવાઈ રહે.
વધુમાં, કપાસના છોડમાં સૂકારો જોવા મળે તેના પ્રથમ ૧૨ કલાકમાં જ અસરગ્રસ્ત છોડની ફરતે ૧% પોટેશિયમ નાઈટ્રેટ અથવા ૨% યુરિયાનું દ્રાવણ રેડવાથી છોડ પુનઃ જીવંત થઈ શકે છે. આ અંગે વધુ જાણકારી અને માર્ગદર્શન માટે ખેડૂતોને પોતાના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, કે.વી.કે., તાલુકા અમલીકરણ અધિકારી કે જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીનો સંપર્ક સાધવા મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.









