MORBI:મોરબી મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે ‘વિશ્વ હિપેટાઇટિસ દિન’ નિમિત્તે આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો

MORBI:મોરબી મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે ‘વિશ્વ હિપેટાઇટિસ દિન’ નિમિત્તે આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો
આશરે ૧૦૦ જેટલા લાભાર્થીઓને હિપેટાઇટિસ, ટીબી અને અન્ય ચેપી રોગો અંગે વિસ્તૃત માર્ગદર્શન અપાયું
મોરબી/સ્થાનિક:વિશ્વ હિપેટાઇટિસ દિન – ૨૮ જુલાઈ, ૨૦૨૬ ની ઉજવણીના ભાગરૂપે આ વર્ષની વૈશ્વિક થીમ “Let’s Break It Down” હેઠળ મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે એક વિશાળ આરોગ્ય જાગૃતિ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO) ડૉ. પી.કે. શ્રીવાસ્તવ સાહેબ તથા જિલ્લા ક્ષય અધિકારી (DTO) ડૉ. ધનસુખ અજાણા સાહેબના પ્રત્યક્ષ માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો. જેમાં આશ્રય ગૃહના અંદાજે ૧૦૦ જેટલા લાભાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
જિલ્લા ક્ષય કેન્દ્રના પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર શ્રી પિયુષભાઈ જોશી દ્વારા ઉપસ્થિત તમામ લાભાર્થીઓને હિપેટાઇટિસ B અને C, HIV/AIDS, સિફિલિસ, ટીબી (TB) તથા લેપ્રસી (રક્તપિત્ત) જેવા ગંભીર રોગો વિશે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી. વિશેષરૂપે હિપેટાઇટિસ રોગના વિવિધ પ્રકારો, તેના લક્ષણો, બચાવ માટેનું રસીકરણ તથા સરકારી આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવતી તમામ સારવાર અને સુવિધાઓ અંગે ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી હતી.
જનજાગૃતિના ભાગરૂપે ઉપસ્થિત લોકોને આરોગ્યલક્ષી IEC (માહિતી, શિક્ષણ અને સંચાર) સામગ્રીનું પ્રદર્શન કરીને સરળ ભાષામાં રોગ મુક્ત રહેવાના ઉપાયો દર્શાવવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોમાં હિપેટાઇટિસ અને અન્ય સંક્રમણજન્ય રોગો પ્રત્યે જાગૃતિ કેળવવી, સમયસર નિદાન અને સારવાર મેળવવા માટે પ્રોત્સાહિત કરવા તથા દરેક નાગરિક સ્વસ્થ અને આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવે તે માટે પ્રેરિત કરવાનો હતો.










