
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં પ્રસિદ્ધ યાત્રાધામ અર્ધનારેશ્વર બિલમાળ ખાતે ગુરુપૂર્ણિમાનો પાવન પર્વ અત્યંત શ્રદ્ધા, ભક્તિ અને ઉમંગભેર ઉજવવામાં આવ્યો હતો.આ અવસરે ગુજરાત તથા મહારાષ્ટ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડ્યા હતા અને સંત પૂ.અનેકરૂપી મહારાજનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી.ભારતીય સંસ્કૃતિમાં ગુરુપૂર્ણિમાનું વિશેષ મહત્વ છે. ગુરુને જ્ઞાન, સંસ્કાર અને આધ્યાત્મિક જીવનના માર્ગદર્શક તરીકે માન આપવામાં આવે છે.ત્યારે ડાંગ જિલ્લાનાં અર્ધનારેશ્વર નાગ જ્યોર્તિલિંગ ધામ ખાતે ગુરુપૂર્ણિમાના દિવસે શિષ્યોએ પોતાના ગુરુ અનેકરૂપી મહારાજ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.આ પવિત્ર દિવસ મહર્ષિ વેદવ્યાસજીની જન્મજયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે, તેથી તેને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે.
ગુરુપૂર્ણિમાના પાવન અવસરે અર્ધનારેશ્વર ધામ ખાતે દિવસભર ભજન-કીર્તન, હરિનામ સંકીર્તન, ધૂન તથા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ.ભક્તો દ્વારા ભવ્ય પાલખી યાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાઈ ભક્તિભાવ સાથે જયઘોષ કર્યો હતો. ઉપરાંત, પરંપરાગત રીતે ગુરુપૂજન વિધિ યોજાઈ હતી,જેમાં ભક્તોએ ગુરુચરણોમાં વંદન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.મંદિર ટ્રસ્ટ અને સેવાભાવી કાર્યકરો દ્વારા ઉપસ્થિત તમામ ભક્તો માટે મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ધાર્મિક કાર્યક્રમ દરમિયાન ભક્તિમય વાતાવરણ સર્જાયું હતુ અને શ્રદ્ધાળુઓએ શાંતિ, ભક્તિ અને આધ્યાત્મિક આનંદનો અનુભવ કર્યો હતો..




