
સેલંબા ગામે ત્રણ બ્રિજને નુકસાન બાદ યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી, ગ્રામ પંચાયત અને યુવા મોરચાના મંત્રીની ત્વરિત કામગીરીથી માર્ગ ફરી શરૂ,
વાત્સલ્યમ સમાચાર
પ્રતિનિધિ : જેસિંગ વસાવા
સાગબારા, તા. ૩૧ જુલાઈ : નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના સેલંબા ગામમાં ઉપરવાસમાંથી આવેલા ભારે પાણીના પ્રવાહને કારણે ગામના ત્રણ બ્રિજને નુકસાન પહોંચતાં વાહનવ્યવહાર અને સ્થાનિક લોકોની અવરજવરમાં મુશ્કેલી સર્જાઈ હતી.
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સેલંબા ગ્રામ પંચાયત તેમજ પ્રદેશ યુવા મોરચાના મંત્રી આકાશભાઈ તડવીએ સતત વરસતા વરસાદ વચ્ચે સ્થળ પર હાજર રહી યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી. ત્રણેય બ્રિજની આસપાસ જમા થયેલો કચરો અને અવરોધ દૂર કરાવી બ્રિજના પાઈપો ખુલ્લા કરાવવામાં આવ્યા હતા, જેથી નાળાનું પાણી સરળતાથી પસાર થઈ શકે અને પાણીનો ભરાવો અટકાવી શકાય.
આ તાત્કાલિક કામગીરીના પરિણામે રસ્તા પરની અવરજવર ફરી શરૂ થઈ હતી. ખાસ કરીને શાળાએ જતાં વિદ્યાર્થીઓ, નાના ભૂલકાઓ તેમજ રોજિંદા અવરજવર કરતા ગ્રામજનોને મુશ્કેલી ન પડે તે માટે ઝડપથી માર્ગ શરૂ કરાવવામાં આવ્યો હતો.
સ્થાનિક લોકોએ વરસાદી સંજોગોમાં સમયસર કરવામાં આવેલી કામગીરીની પ્રશંસા વ્યક્ત કરી હતી.




