Jasdan: જસદણ તાલકાના જસાપરમાં વહીવટી તંત્ર દ્વારા ભાદર નદીના પટની મુલાકાત: ગ્રામજનોને તકેદારી રાખવા અપીલ કરાઈ

તા.૩૧/૭/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Jasdan: રાજકોટ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. ઓમ પ્રકાશની સૂચના અને માર્ગદર્શનમાં જિલ્લાના ડિઝાસ્ટર તંત્ર દ્વારા તકેદારી સાથે આગોતરાં પગલાં લેવામાં આવી રહ્યા છે. જસદણ તાલુકાના જસાપર ગામે ભાદર નદીના પટમાં તથા નીચાણવાળા વિસ્તારોમાં તંત્રની ટીમ દ્વારા સ્થળ મુલાકાત કરવામાં આવી હતી.
જેમાં મહેસૂલ વિભાગ, પોલીસ વિભાગ, પંચાયત વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ સાથે ગામના સરપંચશ્રી અને સ્થાનિક આગેવાનોએ સ્થળ પર જઈને સંભવિત ભારે વરસાદ અને પૂરની સ્થિતિની આગોતરી સમીક્ષા કરી હતી. આ સાથે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને મળીને સુરક્ષા તેમજ જરૂર પડ્યે આગોતરા સ્થળાંતર સહિતની સમજણ આપવામાં આવી હતી.
વહીવટી તંત્ર દ્વારા ગ્રામજનોને અપીલ કરવામાં આવી છે કે, વરસાદ દરમિયાન નદી, નાળા કે વોકળા ઓળંગવા નહીં. નદીપટના વિસ્તારથી દૂર રહેવું. તંત્ર દ્વારા અપાતી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવું.



