
રાષ્ટ્રપતિ ભવનના ‘એટ હોમ’ કાર્યક્રમ માટે નર્મદાની ઉષાબેન વસાવાને વિશેષ આમંત્રણ
વાત્સલ્યમ સમાચાર
પ્રતિનિધિ : જેસિંગ વસાવા
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના પાંચપીપરી ગામના પ્રકૃતિપ્રેમી, પ્રકૃતિ પૂજક અને મહિલા સશક્તિકરણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય કરી રહેલા ઉષાબેન દિનેશભાઈ વસાવાને ભારતના રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાનારા પ્રતિષ્ઠિત ‘એટ હોમ’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે વિશેષ આમંત્રણ પ્રાપ્ત થયું છે.
પ્રાકૃતિક ખેતીના ક્ષેત્રમાં તેમના નોંધપાત્ર યોગદાન, પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની નિષ્ઠા અને મહિલા સશક્તિકરણ માટે કરેલા પ્રશંસનીય કાર્યને ધ્યાનમાં રાખી ભારતના રાષ્ટ્રપતિ દ્વારા તેમને વ્યક્તિગત આમંત્રણ પાઠવવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.
ઉષાબેન વસાવાને મળેલું આ સન્માન માત્ર પાંચપીપરી ગામ માટે જ નહીં, પરંતુ સમગ્ર નર્મદા જિલ્લા અને આદિવાસી સમાજ માટે ગૌરવની બાબત માનવામાં આવી રહ્યું છે. આ સમાચાર પ્રસિદ્ધ થતાં જ તેમના પરિવારજનો, સગાસંબંધીઓ, ગ્રામજનો તેમજ સમગ્ર આદિવાસી સમાજમાં આનંદ અને ગૌરવની લાગણી છવાઈ ગઈ છે.
સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોએ ઉષાબેન વસાવાને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી છે. પ્રાકૃતિક ખેતી અને સામાજિક સેવાના ક્ષેત્રે તેમનું કાર્ય અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.




