WAKANER:વાંકાનેર ITI ખાતે વન મહોત્સવ: જનપ્રતિનિધિઓ અને અધિકારીઓના હસ્તે વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ અપાયો

WAKANER:વાંકાનેર ITI ખાતે વન મહોત્સવ: જનપ્રતિનિધિઓ અને અધિકારીઓના હસ્તે વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ અપાયો
રિપોર્ટ આરીફ દિવાન વાંકાનેર: વાંકાનેર-રાજકોટ હાઈવે પર આવેલી આઈ.ટી.આઈ. કચેરીના વિશાળ ગ્રાઉન્ડમાં પર્યાવરણ જતન અને હરિયાળી વધારવાના ઉદ્દેશ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વરસાદ મોડો પડવાના કારણે આ વર્ષે કાર્યક્રમ લગભગ એક મહિના બાદ યોજાયો હતો. કાર્યક્રમમાં નગરપાલિકાના હોદ્દેદારો, વહીવટી અધિકારીઓ, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તથા આઈ.ટી.આઈ. કચેરીના સ્ટાફે ઉત્સાહભેર ભાગ લઈ હરિયાળા ભવિષ્યનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમનું પ્રારંભ આઈ.ટી.આઈ.ના આચાર્ય સાગરભાઈ રાડિયાના સ્વાગત સંબોધનથી થયો હતો. ત્યારબાદ વાંકાનેર નગરપાલિકાના પ્રમુખ રમેશભાઈ વોરા, ચીફ ઓફિસર ધવલભાઈ વેકરિયા, નાયબ મામલતદાર એસ.વી. રાઠોડના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના આગેવાન ચેતનભાઈ ગોસ્વામી, જિલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ જયેન્દ્રસિંહ ઝાલા, નગરપાલિકાના શાસક પક્ષના નેતા ધર્મેન્દ્રસિંહ જાડેજા, એ.પી.એમ.સી.ના ડિરેક્ટર અશ્વિનભાઈ મેઘાણી સહિત અનેક હોદ્દેદારો, જનપ્રતિનિધિઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.આચાર્ય સાગરભાઈ રાડિયાએ જણાવ્યું હતું કે આઈ.ટી.આઈ. કચેરી ખાતે દર વર્ષે નિયમિત રીતે વૃક્ષારોપણ કરવામાં આવે છે. લગભગ પાંચ વર્ષ પહેલાં વાવવામાં આવેલા અંદાજે 50 જેટલા વૃક્ષો આજે ઘનછાયો આપતા વિકસ્યા છે અને સમગ્ર કેમ્પસને બગીચા તથા ફાર્મહાઉસ જેવી હરિયાળીથી શોભાયમાન બનાવી રહ્યા છે. આ દૃશ્ય પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ અને વૃક્ષપ્રેમનું જીવંત ઉદાહરણ છે.કાર્યક્રમને સફળ બનાવવા કચેરીના તમામ કર્મચારીઓએ નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી. અંતે ઉપસ્થિત મહેમાનો અને કર્મચારીઓએ વધુમાં વધુ વૃક્ષો વાવવા, તેનું જતન કરવા અને હરિયાળું પર્યાવરણ નિર્માણમાં સૌએ પોતાનો ફાળો આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહેમાનો અને સ્ટાફ દ્વારા કરાયેલ વૃક્ષારોપણના દૃશ્યો સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.










