
સરદારપુર હાઈસ્કૂલમાં આનંદીબા ટ્રસ્ટનો સેવાયજ્ઞ
1,000થી વધુ વિદ્યાર્થીઓને બુટ-મોજાંનું વિતરણ, આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ માટે રૂ. 30 હજારની ફી સહાય અર્પણ કરી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના સરદારપુર હાઈસ્કૂલ ખાતે આનંદીબા ટ્રસ્ટ ઓફ ગુજરાત દ્વારા સેવા અને શિક્ષણને પ્રોત્સાહન આપતો પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો હતો. ટ્રસ્ટના મુખ્ય અગ્રણી અશોકભાઈ કાંતિભાઈ બારોટ અને નીતાબેન અશોકભાઈ બારોટના સહયોગથી અંદાજે 1,000 વિદ્યાર્થીઓને બુટ-મોજાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓના અભ્યાસમાં કોઈ અવરોધ ન આવે તે માટે રૂ. 30,000ની ફી સહાય પણ શાળાને અર્પણ કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ધારાસભ્ય ડૉ. સી. જે. ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ચાંગોદ ગામના સરપંચ ધર્મિષ્ઠાબેન બારોટ, સર્વોદય કેળવણી મંડળના પ્રમુખ, ઉપપ્રમુખ, ટ્રસ્ટીગણ, શાળાના આચાર્ય, શિક્ષકમંડળ, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે આનંદીબા ટ્રસ્ટના પરિવારના સભ્યો રસીલાબેન બારોટ, અંજનાબેન, દિવ્યાબેન, મનહરભાઈ, અમિતાબેન, સુમિત્રાબેન તેમજ ટ્રસ્ટના પ્રમુખ બ્રિજેશભાઈ મનહરભાઈ બારોટ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ભાજપ તાલુકા પ્રમુખ હાર્દિકભાઈ પટેલ અને જિલ્લા મંત્રી રાજેશભાઈ પટેલ સહિતના આગેવાનો પણ કાર્યક્રમમાં જોડાયા હતા.
શાળાના આચાર્યએ આનંદીબા ટ્રસ્ટ અને દાતાઓના પરિવાર જનો નોઆભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે શિક્ષણ ક્ષેત્રે આપવામાં આવતું દાન મહાદાન સમાન છે અને આવા સેવાકીય કાર્યો અન્ય દાતાઓ માટે પણ પ્રેરણારૂપ બનશે.
ધારાસભ્ય ડૉ. સી. જે. ચાવડાએ પોતાના સંબોધનમાં ટ્રસ્ટની સેવાભાવનાની પ્રશંસા કરતાં વિદ્યાર્થીઓને મહેનત, શિસ્ત અને સતત અભ્યાસ દ્વારા જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા અપીલ કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવી ડૉક્ટર, એન્જિનિયર સહિત વિવિધ ક્ષેત્રોમાં આગળ વધી સમાજ અને દેશનું નામ રોશન કરવાની શુભેચ્છા પાઠવી હતી.
કાર્યક્રમના અંતે દાતાઓના પરિવારના હસ્તે વિદ્યાર્થીઓને બુટ-મોજાંનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓની ફી માટે રૂ. 30 હજારનો ચેક શાળાના આચાર્યને અર્પણ કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ સેવા, શિક્ષણ અને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ બની સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.





