આણંદ જિલ્લામાં એનાલોગ પનીર, ચીઝ અને બટરના વેચાણ પર તવાઈ: ફૂડ સેફ્ટી વિભાગની સઘન તપાસ

આણંદ જિલ્લામાં એનાલોગ પનીર, ચીઝ અને બટરના વેચાણ પર તવાઈ: ફૂડ સેફ્ટી વિભાગની સઘન તપાસ
તાહિર મેમણ – આણંદ – 07/08/2026 – એનાલોગ પનીર, એનાલોગ ચીઝ અને એનાલોગ બટરના ઉપયોગ તેમજ વેચાણ પર લાદવામાં આવેલા પ્રતિબંધના કડક અમલીકરણ માટે આણંદ જિલ્લા ફૂડ સેફ્ટી વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. ગ્રાહકોને સુરક્ષિત અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ખાદ્યપદાર્થો મળી રહે તે સુનિશ્ચિત કરવાના હેતુથી ફૂડ વિભાગ દ્વારા સમગ્ર જિલ્લામાં વ્યાપક તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. સરકારના તાજેતરના જાહેરનામાને પગલે ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમોએ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કાર્યરત ખાદ્ય એકમો પર ઓચિંતી તપાસ કરી કાયદાકીય શિસ્તનું પાલન કરાવવા તજવીજ હાથ ધરી છે.
આ તપાસ ઝુંબેશ હેઠળ ફૂડ સેફ્ટી વિભાગના અધિકારીઓએ આણંદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આવેલી કુલ ૧૩ જેટલી હોટેલ અને રેસ્ટોરન્ટ્સમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન ખાસ કરીને રસોડાની સ્વચ્છતા, ખાદ્યપદાર્થોના સંગ્રહની પદ્ધતિ અને વપરાશમાં લેવાતા કાચા માલની ગુણવત્તાની બારીકાઈથી સમીક્ષા કરવામાં આવી હતી. હોટેલ સંચાલકો દ્વારા એનાલોગ પનીર, ચીઝ કે બટરનો ઉપયોગ કરવામાં આવતો નથી તેની ખાતરી કરવા માટે ખરીદીના બિલો અને સંબંધિત દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી, જેથી પ્રતિબંધિત પદાર્થોના દૂષણને અટકાવી શકાય.
તપાસ પ્રક્રિયાની સાથે ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા તમામ ફૂડ બિઝનેસ ઓપરેટરોને રાજ્ય સરકારના નવા જાહેરનામા અને પ્રતિબંધિત ખાદ્યપદાર્થો વિશે વિગતવાર માહિતગાર કરવામાં આવ્યા હતા. વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે કે કોઈપણ સંજોગોમાં પ્રતિબંધિત ખાદ્યપદાર્થોનું વેચાણ કે ઉપયોગ કરવો નહીં. સંચાલકોને માત્ર કાયદેસર અને પ્રમાણિત ખાદ્યપદાર્થોનો જ આગ્રહ રાખવા તથા ભવિષ્યની તપાસ માટે તમામ ખરીદીના આધાર પુરાવાઓ સુરક્ષિત રાખવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
ફૂડ સેફ્ટી વિભાગના અધિકારીઓ દ્વારા સ્પષ્ટ કર્યું છે કે જિલ્લાના તમામ વિસ્તારોમાં આ પ્રકારની તપાસની કામગીરી આગામી સમયમાં પણ સતત ચાલુ રહેશે. જો કોઈ પણ ફૂડ બિઝનેસ ઓપરેટર પ્રતિબંધિત એનાલોગ ઉત્પાદનોનો ઉપયોગ કરતા અથવા તેનું વેચાણ કરતા પકડાશે, તો તેમની સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, ૨૦૦૬ અને તે હેઠળના નિયમો મુજબ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
જિલ્લાના ફૂડ વિભાગના તંત્ર દ્વારા નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ શુદ્ધ અને સલામત ખાદ્યપદાર્થોનો જ ઉપયોગ કરે અને જો કોઈ શંકાસ્પદ ખાદ્યપદાર્થ વિશે માહિતી મળે તો તાત્કાલિક ફૂડ સેફ્ટી વિભાગનો સંપર્ક કરે.





