ભરૂચ: વકીલોના વિરોધ બાદ હાઈકોર્ટની મોટી રાહત, હસ્તલિખિત અરજીઓ સ્વીકારવા સહિતની જોગવાઈથી વકીલોમાં ખુશી



સમીર પટેલ, ભરૂચ
ગુજરાત હાઈકોર્ટ દ્વારા જિલ્લા અદાલતોમાં A4 સાઈઝના પેપર અને ચોક્કસ ફોર્મેટ અંગે બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. વકીલો દ્વારા કરવામાં આવેલા વિરોધ બાદ હાઈકોર્ટે અગાઉના પરિપત્રને સુપરસીડ કરી નવા પરિપત્રમાં મહત્વની સ્પષ્ટતાઓ અને રાહતો આપી છે.
હાઈકોર્ટના નવા પરિપત્ર મુજબ ગુજરાતી ભાષામાં અગાઉ સૂચવાયેલા ચોક્કસ ફોન્ટ ફરજિયાત નહીં પરંતુ સૂચિત રાખવામાં આવ્યા છે. એટલે કે અન્ય સમાન ગુજરાતી ફોન્ટનો પણ ઉપયોગ કરી શકાશે.
આ ઉપરાંત જામીન બોન્ડ સહિતની કેટલીક જરૂરી અરજીઓ અને દસ્તાવેજો માટે પણ A4 પેપર અંગેની શરત લાગુ નહીં પડે તેવી હાઈકોર્ટે સ્પષ્ટતા કરી છે.
હાઈકોર્ટના આ નિર્ણયથી ભરૂચના વકીલોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. હાઈકોર્ટના હુકમને આવકારતા ભરૂચ બાર એસોસિએશનના વકીલોએ એકબીજાને મીઠાઈ ખવડાવી ફટાકડા ફોડી ઉજવણી કરી હતી.
વકીલોએ હાઈકોર્ટના આ નિર્ણયને આવકાર્યો હતો અને તાકીદની અરજીઓમાં વ્યવહારુ મુશ્કેલીઓ દૂર થતાં રાહત મળી હોવાનું જણાવ્યું હતું.
વકીલોના વિરોધ બાદ હાઈકોર્ટ દ્વારા કરવામાં આવેલી આ મહત્વની સ્પષ્ટતાથી ભરૂચ સહિત રાજ્યભરના વકીલોને મોટી રાહત મળી છે.




