WAKANER:વાંકાનેરમાં ‘પુસ્તક પરબ’ બન્યું વાચન સંસ્કૃતિનું જીવંત પર્વ બાળસાહિત્યથી સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો સુધી વાચકોમાં ઉત્સાહ

WAKANER:વાંકાનેરમાં ‘પુસ્તક પરબ’ બન્યું વાચન સંસ્કૃતિનું જીવંત પર્વ બાળસાહિત્યથી સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો સુધી વાચકોમાં ઉત્સાહ
“‘યુવા પેઢીને મોબાઈલથી પુસ્તક તરફ વાળવાનો સરાહનીય પ્રયાસ”‘
રિપોર્ટ:આરીફ દિવાન – વાંકાનેર, તા.9: વાંકાનેરના પુલ દરવાજા સ્ટેચ્યુ ખાતે રવિવારે યોજાયેલા ‘પુસ્તક પરબ વાંકાનેર’માં સાહિત્યરસિકો, વિદ્યાર્થીઓ અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. બાળસાહિત્ય, નવલકથા, જ્ઞાનવર્ધક પુસ્તકો તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાના સાહિત્ય સહિત વિવિધ પ્રકારના પુસ્તકોનો વાચકોએ લાભ લીધો હતો.
આજના મોબાઈલ અને સોશિયલ મીડિયાના યુગમાં યુવા પેઢીમાં વાચનની ટેવ જળવાઈ રહે તે દિશામાં આવા પુસ્તક પરબનું આયોજન વિશેષ મહત્વ ધરાવે છે. પુસ્તક માત્ર માહિતીનું સાધન નથી, પરંતુ વિચારશક્તિ, કલ્પનાશક્તિ અને વ્યક્તિત્વ વિકાસનું માધ્યમ છે. ખાસ કરીને બાળકો અને યુવાનોમાં વાંચનની ટેવ વિકસે તો તેમની ભાષા, જ્ઞાન અને વિચારશક્તિને લાંબા ગાળે તેનો લાભ મળે છે.
પુસ્તક પરબમાં વાંકાનેરના DySP સમીર સારડા, L&T કંપનીના ઉજ્જવલ યાદવ, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ નજરુદ્દીન બાદી તથા પ્રવીણ પોટરી વર્કસ દલડીના ધર્મેશભાઈ સોલંકીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. DySP સમીર સારડા તરફથી રૂ.4,299ની કિંમતનો મોબાઈલ ટેન્ટ ભેટ આપવામાં આવ્યો હતો, જ્યારે નજરુદ્દીન બાદી તરફથી રૂ.1,000ની ભેટ આપવામાં આવી હતી. L&T કંપની તથા પ્રવીણ પોટરી વર્કસ તરફથી શાળાઓ માટે ફૂલ-છોડ, વૃક્ષો અને કુંડાઓ આપવામાં આવ્યા હતા.આ સમગ્ર આયોજનમાં પુસ્તક પરબ વાંકાનેરના સ્વયંસેવક શિક્ષકો તથા યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. વાંચનનો ક્રેઝ વધારવા અને ‘મોબાઈલ સ્ક્રોલિંગ’માંથી યુવાનોને ‘બુક રીડિંગ’ તરફ વાળવા માટે વાંકાનેરમાં યોજાયેલું પુસ્તક પરબ એક સકારાત્મક અને અનુસરવા જેવું અભિયાન બની રહ્યું છે.











