MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા આવતીકાલે ૧૧ ઓગસ્ટે ‘મચ્છુ જળ હોનારત દિવસ’ નિમિત્તે સ્મૃતિ રેલી અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન

MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા આવતીકાલે ૧૧ ઓગસ્ટે ‘મચ્છુ જળ હોનારત દિવસ’ નિમિત્તે સ્મૃતિ રેલી અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન
૧૧ ઓગસ્ટ, ૧૯૭૯ના રોજ સર્જાયેલી મચ્છુ જળ હોનારતમાં જીવ ગુમાવનાર દિવંગતોની પવિત્ર સ્મૃતિમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા આવતીકાલે, તારીખ ૧૧ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ એક ભવ્ય સ્મૃતિ રેલી અને સામૂહિક શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સ્મૃતિ રેલીનો પ્રારંભ બપોરે ૩:૧૫ કલાકે મોરબી મહાનગરપાલિકાની ગાંધી ચોક સ્થિત મુખ્ય ઓફિસથી થશે. રેલીનો રૂટ ગાંધી ચોક મેઈન ઓફિસથી શરૂ થઈ શાખ માર્કેટ, નગર દરવાજા, પરાબજાર મેઈન રોડ, ત્રિકોણ બાગ અને મણીમંદિર થઈને મણીમંદિરના પટાંગણ ખાતે પૂર્ણ થશે. રેલી મણીમંદિર પહોંચ્યા બાદ ત્યાં વિશાળ પટાંગણમાં દિવંગત આત્માઓને સામૂહિક શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો વિશેષ કાર્યક્રમ યોજાશે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ નાગરિકોને આ સ્મૃતિ રેલીમાં સફેદ વસ્ત્રો પરિધાન કરીને ઉપસ્થિત રહેવા ભાવભરી અપીલ કરવામાં આવી છે. મચ્છુ જળ હોનારતના દિવંગતોની સ્મૃતિને નમન કરવા અને પોતાના સ્વજનોને સામૂહિક અંજલિ આપવા માટે સમગ્ર મોરબીવાસીઓને મોટી સંખ્યામાં આ રેલીમાં જોડાવા જણાવાયું છે.








