નવસારી: આર્મી ભરતી માટે શારીરિક-લેખિત પરીક્ષાની નિઃશુલ્ક તાલીમ, નવસારીના યુવાનોને લાભ લેવા અપીલ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
લશ્કરી ભરતીની શારીરિક અને લેખિત પરીક્ષાની નિઃશુલ્ક તાલીમ માટે તા. ૧૭ ઓગસ્ટ સુધી અરજી કરી શકાશે :
ભારતીય આર્મીમાં જોડાઈ દેશસેવાનું સ્વપ્ન ધરાવતા નવસારી જિલ્લાના યુવાનો માટે રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગની રોજગાર વિનિમય કચેરી દ્વારા ૩૦ દિવસીય ‘સ્વામી વિવેકાનંદ નિવાસી તાલીમ વર્ગ’નું આયોજન કરવામાં આવે છે. ભારતીય આર્મી દ્વારા ગુજરાત રાજ્યમાં દર વર્ષે લશ્કરી ભરતી કેમ્પનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતને ફાળે આવતી જગ્યાઓમાં ભરતી થવા ઇચ્છતા ઉમેદવારોને ભરતી પૂર્વેની શારીરિક તેમજ લેખિત પરીક્ષાની સઘન તૈયારી કરાવવા માટે આ નિઃશુલ્ક નિવાસી તાલીમ વર્ગ યોજવામાં આવે છે.
આ તાલીમ વર્ગમાં ફક્ત પુરુષ ઉમેદવારોને ભારતીય સેનાની ભરતી માટે જરૂરી શારીરિક કસોટી તેમજ લેખિત પરીક્ષાની તાલીમ આપવામાં આવશે. નવસારી જિલ્લાના વધુમાં વધુ યુવાનો આ નિઃશુલ્ક તાલીમનો લાભ લઈ લશ્કરી ભરતી કેમ્પમાં સફળતાપૂર્વક પસંદગી પામે તે હેતુથી આ તાલીમ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે.
તાલીમ માટેની લાયકાત
આ તાલીમ વર્ગમાં જોડાવા ઇચ્છતા ઉમેદવારોની લાયકાત
ધોરણ-૧૦ (SSC)માં ઓછામાં ઓછા ૪૫ ટકા સાથે પાસ, ઉંમર ૧૭ થી ૨૧ વર્ષ.
ઊંચાઈ ૧૬૫ સે.મી., વજન ૫૦ કિલો, છાતીનું માપ ૭૯ થી ૮૪ સે.મી. હોવી જોઈએ.
ઉપરોક્ત લાયકાત ધરાવતા અને તાલીમમાં જોડાવા ઇચ્છતા ઉમેદવારોએ સાદા કાગળ પર તા. ૧૭-૦૮-૨૦૨૬ સુધીમાં અરજી કરવાની રહેશે.
વધુ માહિતી માટે ઉમેદવારો જિલ્લા રોજગાર વિનિમય કચેરી, નવસારી, કે.કે. કોમર્શિયલ, ૧લો માળ, પ્રજાપતિ આશ્રમ ક્રોસ રોડ, પેટ્રોલ પંપ સામે, નવસારી ખાતે રૂબરૂ સંપર્ક કરી શકે છે.
વધુ માહિતી માટે ફોન નં. ૦૨૬૩૪-૨૩૪૭૨૩ પર સંપર્ક કરવા જણાવાયું છે.
જિલ્લાના યુવાનો લશ્કરમાં જોડાઈ દેશસેવા કરવા ઇચ્છતા અને ઉપરોક્ત લાયકાત ધરાવતા વધુમાં વધુ આ તકનો લાભ લઈ તાલીમમાં જોડાય અને ભારતીય આર્મીની ભરતી પ્રક્રિયામાં સફળતા મેળવે તેવી અપીલ કરવામાં આવે છે.




